પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે અણીના સમયે કરેલી મદદ બદલ વિદ્યાર્થીનીઓ અને પરિવારજનોએ વ્યક્ત કરેલો આભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.03
યુક્રેનમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા ગયેલા અને રશિયાએ કરેલા હુમલાના કારણે ફસાયેલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવની ચારેય વિદ્યાર્થીનીઓ કુ.માનસી શર્મા, કુ.ખુશી અજય ભંડારી, કુ.ધ્વની પ્રધાન અને કુ.લલિતા નેનારામ ચૌધરી ભારત સરકાર અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સહાયતાથી સકુશળ ઘરે પાછી ફરી છે. પરત ફરેલા ઉપરોક્ત વિદ્યાર્થીઓએ પરિજનો સાથે સાથે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે પણ શુભેચ્છા મુલાકાત લઈ મદદ કરવા બદલ ભારત સરકાર સહિત સંઘપ્રદેશ પ્રશાસનનો પણ આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેડિકલનો અભ્યાસ કરવા માટે મોટી સંખ્યામાં યુક્રેન ગયેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ યુક્રેન ઉપર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે તેઓ યુક્રેનમાં ભયાવહ હાલતમાં ફસાઈ ગયા હતા. જેમાં સંઘપ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્યોથી આવેલા ઘણા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનોસમાવેશ થાય છે. જેમને સુરક્ષિત પરત ભારત લાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રયાસો કરી રહ્યા છે. જેમાં સંઘપ્રદેશની ચારેય વિદ્યાર્થીનીઓ પરત ઘરે પહોંચી ચૂકી છે.
વિદ્યાર્થીનીઓના પરિજનોએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલેને જણાવ્યું હતું કે, યુક્રેન ઉપર રસિયાના હુમલાની માહિતી મળતા જ અમે બધા ભયમાં જીવી રહ્યા હતા અને અમારા સંતાનોની સુરક્ષાને લઈ ઘણી ચિંતા હતી. પરંતુ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ પ્રશાસનને આ બાબતે તત્પરતા બતાવી તાત્કાલિક કાર્યવાહી કરી, વિદેશ મંત્રાલયને તમામ વિદ્યાર્થીઓની જાણકારી મોકલાવી હતી અને તમામ વિદ્યાર્થીનીઓ સકુશળ પરત ફરે તે બાબતે અંગત રસ લીધો હતો. જેના પરિણામે અમારા સંતાનો હેમખેમ પરત ફરતા અમે રાહતનો શ્વાસ લીધો હોવાનું વિદ્યાર્થીનીઓના માતા-પિતાએ જણાવ્યું હતું.
વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીનીઓના માતા-પિતાએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.