વલસાડ તા.૨૨: વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.
આ બેઠકના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રીએ સંકલન સમિતિના ભાગ- ૧ અંતર્ગત જિલ્લાના પદાધિકારીઓના પ્રશ્નોની જે રજૂઆતો હતી તે રજૂઆતોની સમીક્ષા કરી હતી. એક થી વધુ વિભાગોને સ્પર્શતા પદાધિકારીઓના પ્રશ્નો હોય તે પરસ્પર વિભાગોના સંકલનથી પ્રશ્નો હલ કરવા માટે સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના માંડા, સરીગામ ખાતે આવેલી રાઠોડ સ્ટીલ કંપનીના રખેવાળશ્રી માંગીલાલ પુરોહિતના કોરોનાના કારણે મૃત્યુ થતાં તેમના પરિવારને કંપની તરફથી તેમના નીકળતા લેણાં ન મળવા બાબતના પ્રશ્ને મદદદનીશ શ્રમ આયુકત વલસાડ દ્વારા સદર કંપનીમાંથી શ્રી માંગીલાલ પુરોહિતના પરિવારને તેમના નીકળતા લેણાં રૂા. ૧,૭૧,૦૦૦/- નું ચેક દ્વારા ચૂકવણું કરવામાં આવ્યું છે.
વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલના ધરાસણા પી.એચ.સી.ની નજીક આવેલી તાલુકા પંચાયત હસ્તકની જમીન દ. ગુ. વીજ કંપનીને ફાળવવા બાબતે તાલુકા વિકાસ અધિકારી વલસાડ દ્વારા જણાવેલ છે કે, તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ્યા મુજબ આ જમીનની એન. ઓ. સી. થી જરૂરી મંજૂરી આપવામાં આવી છે. ડુંગરી ખાતેના પશુ દવાખાનાના રીપેરીંગના મંજૂર થયેલ કામ હજુ સુધી શરૂ કરવામાં કેમ નથી આવ્યું તે બાબતના તેમના પ્રશ્ન અંગે જિલ્લા પંચાયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવેલ છે કે, આ કામનું ટેન્ડર સુરત વર્તુળ કચેરી દ્વારા થયા બાદ કામ તુર્ત જ કરી દેવામાં આવશે. નેશનલ હાઇવે નં. ૪૮ બાલાજી ફેકટરીથી ડુંગરી સર્વિસ રોડની કામગીરી, સુગર ફેકટરી ઓવરબ્રીજથી વાંકી નદીના પુલ સુધીના ૧ કિ. મી. ના બાયપાસ રોડનું કામ, સરોણ, નંદવાલા ઓવરબ્રીજના કામના ટેન્ડર બાબતે તેમજ ને. હા. નં. ૪૮ પર રેલીયા ફળિયા, સોનવાડા ક્રોસ આગળ બ્રીજ બનાવેલ છે પરંતુ બ્રીજ પૂરો થયા બાદ પણ ક્રોસ બંધ ન કરવા બાબતેના પ્રશ્નો અંગે નેશનલ હાઇવેના પ્રોજેકટ ડાયરેકટર દ્વારા આ કાર્યવાહી તુર્ત જ કરવામાં આવશે તેમ જણાવેલ છે. ને. હા. નં. ૪૮ સુગર ફેકટરીથી પારનેરા પારડીથી વાંકી ફળિયા થઇ અટકપારડીને જોડતા રોડ પર જી. ઇ. બી. ના થાંભલા ખસેડવા બાબતે દ. ગુ. વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા આ અંગેની દરખાસ્ત કરી વડી કચેરી મોકલવામાં આવેલ છે, જયાંથી મંજૂરી મળ્યા બાદ આ કાર્યવાહી તુર્ત જ કરવમાં આવશે એમ જણાવવામાં આવેલ છે.
ભાગ-૨ માં જિલ્લા કલેકટરશ્રીએ નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતે જરૂરી સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સાંસદશ્રી ર્ડા. કે. સી. પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, નાયબ પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર એન. એ. રાજપૂત, વલસાડ, પારડી, ધરમપુરના પ્રાંત અધિકારીઓ સર્વશ્રી નીલેશ કુકડીયા, આનંદુ સુરેશ ગોવિંદ, કેતુલ ઇટાલીયા, સામાજિક વનીકરણના નાયબ વનસંરક્ષક ભારદ્વાજ તેમજ સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.