(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : ગુજરાતના વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ નગરપાલિકામાં ‘સ્વચ્છતા પ્રહરી’ તરીકે ફરજ બજાવનાર કર્મચારીનું ડેંગ્યુ તાવના કારણે મોત થયું છે.
પ્રાપ્ત વિગત અનુસાર કમલેશ પટેલ (ઉ.વ.25)રહેવાસી મંદિર ફળિયા, આમલી સેલવાસ જેઓને થોડા દિવસોથી સામાન્ય તાવ આવતો હતો, છતાં પણ તેઓ હોસ્પિટલમાં સારવાર લેવાને બદલે મેડિકલ સ્ટોરમાથી દવા લઈ રહ્યા હતા. રવિવારના રોજ અચાનક વધુ તબિયત બગાડવાને કારણે એમના પરિવારના સભ્યો વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં એમનો રિપોર્ટમાં ડેંગ્યુ પોઝિટિવ હોવાનું જણાવવામાં આવ્યું હતું. અહીં સારવાર દરમ્યાન એમની તબિયત વધુ બગડતા સોમવારના રોજ બપોરે સારવાર દરમ્યાન કમલેશ પટેલનું મોત થયું હતું. જેના કારણે એમના પરિવારમાં ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા ડેંગ્યુના તાવની બીમારીનું પ્રમાણ વધવાને કારણે જાહેર જનતાને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે કોઈને પણ તાવ સહિતની કોઈપણ બીમારી હોય તો તાત્કાલિક હોસ્પિટલના ડોક્ટરોની સલાહ લે.મૃતક કમલેશ પટેલ પોતે નગરપાલિકામાં ‘સ્વચ્છતા પ્રહરી’ તરીકે ફરજ બજાવતા હોવા છતાં પણ એમની તબિયત બગડવાથી યોગ્ય સારવાર નહીં લેતાં એમની બેદરકારીના કારણે સારવાર દરમ્યાન મોત થયું હોવાનું માનવામાં આવે છે.