પ્રદેશના નફો રળતા વીજ વિભાગનું કરાયેલુંખાનગીકરણ સમજની બહારઃ કલાબેન ડેલકર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07
દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પ્રદેશમાં વીજ વિભાગનું ખાનગીકરણ થતાની સાથે જ ટોરેન્ટ પાવર દ્વારા અસહ્ય વીજ વધારા સાથે સરચાર્જ અને એફપીપીસીએનો વધારાનો બોજ ઝીંકવામા આવતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ઊર્જા મંત્રી શ્રી આર.કે.સિંહને રજૂઆત કરી જનતાના માથેથી વીજદરનો ભાર હળવો કરાવવાની માંગ કરી છે.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, દાદરા નગર હવેલી આદિવાસી બાહુલ વિસ્તાર છે. જ્યાં પ્રદેશના વિકાસ અને અહીંની જનતાના ઉત્થાન માટે કેન્દ્ર સરકાર દ્વારા વેપારી સંસ્થાન અને નાના મોટા ઉધોગોને ઓછા દરે વીજળી પ્રદાન કરવામાં આવતી હતી. પરંતુ હાલમાં વીજ વિભાગનું ખાનગીકરણ કરી ટોરેન્ટ પાવર નામની કંપનીને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે. પ્રદેશમાં નફો રળતા વીજ વિભાગનું ખાનગીકરણ સમજની બહાર છે. આ પ્રકારના ખાનગીકરણ થકી હવે ઘરેલુ, વેપારી, ઔદ્યોગિક અને કૃષિ સહિત દરેકના વીજળી બિલોમાં ભારે માત્રામાં વધારો કરી દેવામાં આવ્યો છે. વધતી જતી મોંઘવારી જેમાં પેટ્રોલ, ડીઝલ, ગેસની સાથે પ્રદેશમાં મિલકત વેરો, ઘરવેરો વગેરેના કમરતોડવધારાથી જનતા ત્રસ્ત છે. તેવા સંજોગોમાં વીજ વધારાનો બેવડો માર અસહનીય છે.
ખાનગીકરણ અગાઉ પ્રશાસન દ્વારા ગરીબી રેખા નીચે જીવતા અહીંના ગરીબ આદિવાસી પરિવારોને નિમ્ન દરે વીજળી પ્રદાન કરવામાં આવતી હતી જેનાથી હવે વંચિત કરી દેવામાં આવ્યા છે. સાથે ઉદ્યોગો પણ વીજળીના લાભથી ધમધમતા હતા જેના પર હવે ખતરો મંડરાઈ રહ્યો છે. ઉદ્યોગોનું જો મોટાપાયે પલાયન થશે તો તેની માઠી અસર અહીંના લોકોના કામ-ધંધા, રોજગાર ઉપર થશે જેનાથી પ્રદેશમાં મોટું સંકટ ઉભું થશે. તેથી સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે ટોરેન્ટ કેન્દ્રીય ગૃહમંત્રી અને ઊર્જા મંત્રીને ટોરેન્ટ પાવર કંપની દ્વારા વીજદરમાં કરવામાં આવેલા વધારા બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરી પ્રદેશની જનતાનું હિત જોવા પુનઃ વિચાર કરવાનો આદેશ જારી કરવામાં આવે તેવો અનુરોધ કર્યો છે.