રૂા.3,69,11,727થી વધુની રકમનું કરાયેલું સેટલમેન્ટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13: ગત શનિવારે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા, નવી દિલ્હી અને રાજ્ય કાનૂની સેવા સત્તા દાદરા નગર હવેલીના આદેશ મુબજ સેલવાસ જિલ્લાન્યાયાલય પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં ચેક બાઉન્સ કેસ, કામદાર વિવાદ, મોટર અકસ્માત કેસ, જમીન સંપાદન કેસ, રેવન્યુ કેસ, લગ્નના છૂટાછેડા કેસ, ફોજદારી કંપાઉન્ડેબલ કેસ, ટ્રાફિક કેસ, ગ્રામ પંચાયત કર વસૂલી વગેરેનો ઈ-કેસના વાદ આપસી ભાઈચારાથી નિકાલ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વિવિધ સંબંધિત પક્ષકારોએ લોક અદાલતનો લાભ લીધો હતો. લોક અદાલતનું સંચાલન જિલ્લા કાનૂની સેવા સત્તા દાનહ અને જિલ્લા ન્યાયાલય સેલવાસ તરફથી સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રીમતી બી.એચ.પરમાર, પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ અને સેશન જજ શ્રી એસ.એસ.અડકર, મા. જજ શ્રી એ.એ.ભોસલે, દીવાની જજ વરિષ્ઠ સ્તર અને મુખ્ય ન્યાયિક દંડાધિકારી અને સભ્ય સચિવ, જિલ્લા કાનૂની સેવા સત્તા દ્વારા કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં કુલ 1668 જેટલા કેસો નોંધાયા હતા જેમાંથી 448 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને અંદાજીત 3,69,11,727 રૂપિયાથી વધુની રકમનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક જૂના કેસો પણ સામેલ હતા. આ અવસરે બાર એસોસિએશનના સભ્યો, વિવિધ બેંન્કોના અધિકારીઓ સહિત પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા.