-
દેશમાં લાઈન લોસિસના ક્ષેત્રે પણ સૌથી ઓછું 2.89 ટકાનું પ્રમાણ લાવી દાનહ પીડીસીએલએ બતાવેલો પોતાનો પ્રભાવ
-
ડીએનએચપીડીસીએલનો 51 ટકા હિસ્સો ટોરેન્ટ પાવરે હસ્તગત કર્યા બાદ પ્રદેશના માથે સાડાસાતી બેઠી હોવાનો લોકોને થઈ રહેલો અનુભવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ અને કાર્યક્ષમ નેતૃત્વમાં સતત બીજા વર્ષે ડીએનએચપીડીસીએલ(દાદરા નગર હવેલી પાવર ડિસ્ટ્રીબ્યુશન કોર્પોરેશન લિ.)એ રૂા.105 કરોડનો નફો રળ્યો હોવાનું ડાયરેક્ટરોની 39મી બેઠકમાં જણાવાયું હતું.
નાણાંકીય વર્ષ 2021-22માં ટ્રાન્સમિશન અને વિતરણમાં ખોટ ફક્ત 2.89 ટકા રહી હતી. 2016-17માં આ નુકસાન 5.40 ટકા હતું. દેશમાં ડીએનએચપીડીસીએલનું જ લાઈન લોસિસનું પ્રમાણે સૌથી ઓછું છે જે નિગમની એક પ્રભાવશાળી ઉપલબ્ધિને દર્શાવે છે. તદ્ઉપરાંત નિગમે સંગ્રહ દક્ષતા તથા બિલ રાશી માટે એકત્રિત રેવન્યુ 99.37 ટકા રહ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસન વિદ્યુત ક્ષેત્રમાં હંમેશા ઓદ્યોગિક ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા અને તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. ઔદ્યોગિક ઉપભોક્તાઓને સરેરાશવીજળીની આપૂર્તિ હંમેશા રૂા.5 પ્રતિ યુનિટના દરની આસપાસ આપવામાં આવી રહી છે. નાણાંકીય વર્ષ 2021-22માં પણ સરેરાશ ઔદ્યોગિક દર રૂા.5.34 પ્રતિ યુનિટ રહ્યો છે જે દેશમાં સૌથી ઓછો છે. જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક ઉપભોક્તાઓ માટે પ્રતિ યુનિટ લગભગ રૂા.7.75નો દર છે.
નિગમે હંમેશા પોતાના દરેક ગ્રાહકોને કોઈપણ પ્રકારના લોડ શેડિંગ વગર 24×7 કોઈપણ પ્રકારના હસ્તક્ષેપણ વગર નિરંતર વીજળી આપૂર્તિ સુનિヘતિ કરી છે અને પ્રદેશના સમગ્ર વિકાસ માટે પ્રયાસ કરવાનો પણ ચાલુ રાખ્યો છે.
અત્રે નોંધનીય છે કે, ડીએનએચપીડીસીએલનો 51 ટકા હિસ્સો ટોરેન્ટ પાવરે હસ્તગત કર્યા બાદ છાશવારે વીજળી ડૂલ થવાની ઘટના સામે આવી રહી છે. વીજળીના બિલમાં પણ અસહ્ય વધારો થઈ રહ્યો હોવાની બૂમ ઉઠી રહી છે ત્યારે ટોરેન્ટ પાવરના સંચાલકોએ પ્રદેશમાં લોકો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ પેદા થાય અને તેમનો ઈરાદો ભાવ વધારાનો નહીં હોવાનું સાર્વજનિક સ્તરે જાહેર કરે એવી લોક લાગણી પણ વ્યક્ત થઈ રહી છે.