જિલ્લા પંચાયતની ૩૮ બેઠક અને ૫ નગરપાલિકા વિસ્તારમાં ફરીને સરકારની ૨૦ વર્ષના વિકાસની ઝાંખી પ્રજાને કરાવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ. તા.0૫: ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષનાં વિકાસની હરણફાળ લોકો સુધી પહોંચે એ હેતુથી સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો શુભારંભ ભદેલી જગાલાલા ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખ અલ્કાબેન શાહે કરાવ્યો હતો. વિકાસ રથને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહે જણાવ્યું હતું કે, આજથી શરૂ કરાયેલો વિકાસ રથ વલસાડ જિલ્લા પંચાયતની ૩૮ બેઠક અને ૫ નગરપાલિકા વિસ્તારમાં ફરીને સરકારની ૨૦ વર્ષના વિકાસની ઝાંખી પ્રજાને કરાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વિકાસનો નવો યુગ શરૂ કર્યો હતો, જે આજસુધી સતત ચાલી રહ્યો છે, જેની પ્રતિતિ રાજ્યના પ્રજનનોને થઈ રહી છે. રાજ્ય સરકારની દરેક યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી વિકાસની નવી કેડી કંડારી છે. રાજ્યના દરેક ગામોમાં નલ સે જળ યોજના અંતર્ગત પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે. શાળા પ્રવેશ ઉજવણી થકી ડ્રોપઆઉટ રેશીઓ નીચો લાવ્યા છે. જ્યોતિગ્રામ યોજના થકી ૨૪ કલાક વીજળીની સુવિધા અને સોલાર રુફટોપ થકી વીજળીના બીલ ભરવામાંથી મુક્તિ મળી છે. પી.એમ.જે.એ.વાય. હેઠળ પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ મળતા ગંભીર બીમારીના ખર્ચની ચિંતામાંથી મુક્તિ મળી છે.
સાંસદ ડો. કે.સી. પટેલ અને વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્ય સરકારની વિકાસગાથા વર્ણવી હતી.
આ અવસરે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને જેવી કે, પી.એમ.જે.એ.વાય. કાર્ડ, વહાલી દીકરી યોજના મંજૂરી હુકમ, ઉજ્જવલા યોજના ચૂલા, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કીટ, કુટિર જ્યોતિ યોજના, પાવર ટીલર, જી.એમ.ડી.પી.એસ. યોજના અંતર્ગત માસિક સહાય સહિત વિવિધ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
ભદેલી ખાતે રૂ. ૧.૫ લાખ, કોસંબા ગામે રૂ. ૧.૫ લાખ , લીલાપોર ગામે રૂ. ૨ લાખ અને ડુંગરી ગામે રૂ. ૧.૮ લાખ મળી કુલ રૂ.૬.૮ લાખના ખર્ચે ચાર વિકાસકામોનું લોકાર્પણ કરાયું હતું.
વેજલપોર સરપંચ સગુણાબેન અને કોસંબા સરપંચ કિરીટભાઈનું કેરોસીનમુક્ત ગામ બનાવવા બદલ, ૧૦૦ ટકા રસીકરણ માટે ભદેલી જગાલાલા સરપંચ જીતુભાઈ ટંડેલ તેમજ બોર્ડની પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવનાર એસ.એસ.સી.માં પ્રીત પટેલ, એચ.એસ.સી. સામાન્ય પ્રવાહમાં જાનવી રાઠોડ અને એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં સ્મિત પટેલનું સન્માન કરાયું હતું.
કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના ૨૦ વર્ષની વિકાસયાત્રા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યોની તેમજ રાજ્યના સાર્વત્રિક અને પ્રાદેશિક વિકાસ અંગેની ટૂંકી ફિલ્મ, પી.એમ.જે.એ.વાય. યોજના તેમજ વિવિધ વિભાગોની સ્થાનિક સાફલ્યગાથા, ગુજરાતની વિકાસ ગાથા અંગેનું ગીત વગેરે રજૂ કરી ઉપસ્થિતોને રાજ્ય સરકારની ઉપલબ્ધિથી વાકેફ કરાયા હતા. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રોપાનું વિતરણ કરાયું હતું. આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા વાનગી નિદર્શન કરાયું હતું.
સ્વાગત પ્રવચનમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી વસાવાએ સૌને આવકાર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતી દેસાઈને કર્યું હતું.
આ અવસરે સાંસદ ડો. કે.સી. પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, પ્રાયોજના વહીવટદાર બી.કે.વસાવા, પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા, તાલુકા પંચાયત પ્રમુખ કમલેશભાઈ ઠાકોર, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષ ધવલભાઇ પટેલ, આરોગ્ય સમિતિ અધ્યક્ષ રંજનબેન પટેલ, તાલુકા કારોબારી અધ્યક્ષ ગીરીશભાઈ ટંડેલ, ભદેલી સરપંચ જીતુભાઈ ટંડેલ, જિલ્લા-તાલુકા પંચાયત સભ્યો સહિત લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.