-
બિલ્ડરો અને ડેવલપરોને ફાયદો પહોંચાડવા માટે સરકારી ગૌચરની જમીન ઉચ્ચ રેવન્યુ અધિકારીઓની મંજૂરી વગર ત્રાહિત વ્યક્તિઓના નામે કરી દેવામાં આવી હતી
-
દાદરા નગર હવેલીમાં કેટલાક રાજકારણીઓ, બિલ્ડરો-ડેવલપરોની સાંઠગાંઠ સાથે ટી.ઍસ.શર્મા અને બ્રિજેશ ભંડારીઍ ઓર્ગેનાઈઝ રીતે સરકારી જમીનો તથા ભોળા અબૂધ આદિવાસીઓની જમીનમાં વાંધા-વચકા ઉભા કરવાનો ખેલ ખેલાતો હોવાની પણ ઉઠેલી ફરિયાદો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 20: સેલવાસના સસ્પેન્ડેડ મામલતદાર તિરથરામ શર્મા અને ખાનવેલના એલ.આર.ઓ. અને પૂર્વ મામલતદાર બ્રિજેશ ભંડારીને આજે કોર્ટમાં રજૂ કરતા નામદાર અદાલતે 6 દિવસના પોલીસ રિમાન્ડ તા.25મી જાન્યુઆરી, 2023 સુધીના મંજૂર કર્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસના સસ્પેન્ડેડ મામલતદાર તિરથરામ શર્મા અને ખાનવેલના સસ્પેન્ડેડ એલ.આર.ઓ. બ્રિજેશ ભંડારી વિરૂદ્ધ દાદરા નગર હવેલી પોલીસમાં ફરિયાદો કરવામાં આવી હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પોલીસ વિભાગે બંને આરોપીઓ સામે આઈપીસીની 409, 446, 468 કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
બંને આરોપીઓની 6 દિવસ માટે એટલે કે, 25મી જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી મળતાં જમીનની ગોબાચારી સાથે સંકળાયેલા અનેક ભેદભરમો બહાર લાવવા તપાસનિશ અધિકારી સઘન પૂછપરછ કરશે એવું આકલન વ્યક્ત થઈ રહ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સસ્પેન્ડેડ મામલતદાર તિરથરામ શર્મા અને ખાનવેલના સસ્પેન્ડેડ એલ.આર.ઓ. બ્રિજેશ ભંડારીએ પોતાની પાસે રહેલા સર્વે એન્ડ સેટલમેન્ટ ઓફિસરના પદનો દુરૂપયોગ કરી બિલ્ડરો અને ડેવલપરોને ફાયદો પહોંચાડવા માટે સરકારી ગૌચરની જમીન ઉચ્ચ રેવન્યુ અધિકારીઓની મંજૂરી વગર ત્રાહિતવ્યક્તિઓના નામે કરી દેવામાં આવી હતી.
દાદરા નગર હવેલીમાં કેટલાક રાજકારણીઓ, કેટલાક બિલ્ડરો અને ડેવલપરોની સાંઠગાંઠમાં તત્કાલિન મામલતદાર તિરથરામ શર્મા અને તત્કાલિન એલ.આર.ઓ. અને ખાનવેલના તત્કાલિન મામલતદાર બ્રિજેશ ભંડારી ઓર્ગેનાઈઝ ઢબથી જમીનોના કૌભાંડને અંજામ આપતા હતા. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને આ સમગ્ર કૌભાંડની ભનક આવતાં તેમણે સત્તાવાર અને પોતાની આગવી રીતે તપાસ શરૂ કરાવી હતી. જેના ફળસ્વરૂપ આવેલા પરિણામથી સમગ્ર સંઘપ્રદેશ પ્રશાસન પણ ચોંકી ગયું હતું. છેવટે બંને ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો.