શિવે મોલ્ડિંગ મશીન ચલાવવાની ના પાડતાં કંપનીના માલિકે નોકરી પરથી કાઢી મુકવાની ધમકી આપી મશીન ચલાવવાનો અનુભવ ન હોવા છતાં નોકરી જવાની બીકે મશીન ચલાવતી વેળા અચાનક હાથ મશીનમાં આવી જતાં હાથમાં થયેલી ગંભીર ઈજાઃ ઓપરેશન દરમિયાન હાથની આંગળી કાપવા પડી, અને કંપનીએ કોઈજ પ્રકારની સહાય કરી નથી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : દાદરા નગર હવેલીના દાદરાગામે એક કંપનીમાં કામ કરતી વખતે કામદારનો હાથ મશીનમાં આવી જતા હાથની આંગળી કપાઈ ગઈ હતી. જે સંદર્ભે કંપની સંચાલકોએ કોઈપણ જાતનો ખર્ચો નહીં આપતા દાદરા પોલીસ સ્ટેશન અને લેબર ઓફીસમાં ન્યાય માટે લેખિત ફરિયાદ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા ગામ ખાતે આવેલ સાંઈનાથ પ્લાસ્ટિકક કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતો શિવ મુનીરાજ તિવારી (ઉ.વ.20) રહેવાસી માહ્યાવંશી ફળીયા દાદરા, મૂળ રહેવાસી મધ્યપ્રદેશ જે દાદરા ગામે ઉદ્યોગ ભવનના ગાળા નંબર 12એમાં સાંઈનાથ પ્લાસ્ટિક નામની કંપનીમાં હેલ્પર તરીકે છેલ્લા ત્રણ મહિનાથી કામ કરતો હતો ગત 4 ડિસેમ્બરના રોજ નાઈટ ડ્યુટીમાં હતો તે દિવસે એક ઓપરેટર નહીં આવતા કંપનીના માલિકે શિવને કોઈપણ જાતની ટ્રેનિંગ આપેલ નહીં હોય છતાં પણ મોલ્ડીંગ મશીન ચલાવવા જણાવ્યું હતું. શિવે મોલ્ડિંગ મશીન ચલાવવાની ના પાડી હતી તો કંપનીના માલિકે એને નોકરી પરથી કાઢી મુકવાની ધમકી આપી હતી. મશીન ચલાવવાનો અનુભવ ન હોવા છતાં નોકરી જવાને ડરે મશીન પર કામ કરી રહ્યો હતો તે સમયે અચાનક એનો હાથ મશીનમાં આવી ગયો હતો, જેને કારણે હાથમાં ગંભીર ઈજા થઈ હતી. કંપની સંચાલકો ઘાયલ શિવને વાપીની મુકતા હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે ઓપરેશન કરવા માટેકહેતા, ત્યાંથી તેને રેમ્બો હોસ્પિટલમાં લઈ જવા માટે જણાવ્યું હતું. આ ઓપરેશન દરમ્યાન શિવનો હાથ તો બચી ગયો પરંતુ એની આંગળીઓ કાપી નાખવામાં આવી હતી. કંપની સંચાલકો દ્વારા શિવને અને એમના પરિવારને એવું જણાવેલ કે તમે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ ન કરશો અમે તમને બધો ખર્ચો આપી દઈશું. પરંતુ કંપની સંચાલકોએ તો ખર્ચો આપવાની જગ્યાએ શિવનો જે પગાર બાકી હતો તેમાંથી દવાખાનાનો ખર્ચો કાપી લીધો હતો. આ ઘટના બાદ શિવે કંપની સંચાલકોને વારંવાર મળવાનો પ્રયાસ કર્યો પણ એને મળતા ન હતા. જેથી કંટાળીને શિવ અને એના પરિવારે દાદરા પોલીસ સ્ટેશનમાં અને લેબર ઓફીસમાં યોગ્ય વળતર અને ન્યાય માટે રજૂઆત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સેલવાસની શ્રી વિનોભા ભાવે સિવિલ હોસ્પિટલમાં ઉત્તમ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં પ્રદેશના કંપની સંચાલકો કાયદા કાનૂનથી બચવા માટે વાપીની ખાનગી હોસ્પિટલોમાં લઈ જાય છે અને કામદારોને વળતર પણ આપતા નથી. તેથી પ્રશાસન દ્વારા આવા કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે એ સમયની માંગ છે.