- સંઘપ્રદેશ પ્રશાસને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણીની કરેલી આવકારદાયક પહેલ
- દાનહના 70મા મુક્તિ દિવસની ઉજવણી ફક્ત 02 ઓગસ્ટે નહીં, પરંતુ વર્ષભર કરવી જોઈએ
- 70 વર્ષ દરમિયાન દાદરા નગર હવેલીના વિવિધ તબક્કામાં થયેલા વિકાસ ઉપર ચિંતન મનન અને મંથન કરવું પણ જરૂરી
સંઘપ્રદેશ પ્રશાસને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, છત્તિસગઢ, તેલંગણા જેવા રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણીની આવકારદાયક પરંપરા શરૂ કરી છે. કારણ કે, ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભારત વર્ષના લગભગ તમામ રાજ્યોના લોકો વસવાટ કરે છે. જેના કારણે જે તે રાજ્યોના સ્થાપના દિવસ નિમિત્તે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા અપનાવવામાં આવી રહેલ આત્મિયતા સાચા અર્થમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું પ્રતિબિંબ પાડે છે. ત્યારે દાદરા નગર હવેલીના મુક્તિ દિવસની ઉજવણીમાં પણ જિલ્લા પ્રશાસને સક્રિય ભાગીદારી અપનાવવી આવશ્યક છે.
કારણ કે, છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદેશના સ્થાનિક લોકોની ઉદાસિનતાથી આમુક્તિ દિનના પર્વની ઉજવણીને ઝાંખપ લાગી છે. મુક્તિ દિવસની ઉજવણીમાં સંઘપ્રદેશ પ્રશાસનની ભૂમિકા પોતાના એક જિલ્લા સ્તરીય સત્તાવાર કાર્યક્રમ સુધી સીમિત રહે છે. ત્યારે દાદરા નગર હવેલીના સ્થાનિક લોકોએ મુક્તિ દિવસની ઉજવણીને આનંદોત્સવ તરીકે મનાવી પોતાના પાડા, ફળિયા, પંચાયત સુધી વિસ્તારવી જોઈએ. આ વર્ષે દાદરા નગર હવેલી 02 ઓગસ્ટ, 2023ના રોજ પોતાનો 70મો મુક્તિ દિવસ ઉજવશે. ત્યારે આ મુક્તિ દિનને યાદગાર બનાવવા સહિયારા પ્રયાસ કરવાની આવશ્યકતા છે.
ભારતની આઝાદીના 7 વર્ષ બાદ પોર્ટુગલોની ચુંગાલમાંથી સ્વતંત્ર બનેલ દાદરા નગર હવેલી મુક્તિના 70મા વર્ષમાં 02 ઓગસ્ટ, 2023ના રોજ પ્રવેશી રહ્યો છે ત્યારે મુક્તિના સાત દાયકા દરમિયાન પ્રદેશના થયેલા વિકાસના લેખાં-જોખાં ઘર ઘર સુધી લઈ જવા જોઈએ. સંઘપ્રદેશ પ્રશાસને પણ દાદરા નગર હવેલીનો 70મો મુક્તિ દિવસ હોવાના કારણે પ્રશાસનિક ઉજવણીમાં પણ થોડી ઉદારતા બતાવી સેલવાસની સાથે સાથે ખાનવેલ કે અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરવામાં આવે તે પ્રકારની તજવીજ હાથ ધરવી જરૂરી છે.
અત્રે નોંધનીય છે કે, મોટાભાગે 02 ઓગસ્ટનો સમય એટલે ધોધમાર વરસાદ અને ચક્રવાત તોફાનનો રહે છે. જેના કારણે મુક્તિ દિવસની ઉજવણી દરમિયાન અનેક તકલીફોનો સામનો કરવાપડી શકે છે. પરંતુ 70મા વર્ષની દાદરા નગર હવેલીના મુક્તિ દિવસની ઉજવણી જન ભાગીદારી સાથે કરવામાં આવે અને જિલ્લાની 20 ગ્રામ પંચાયતોને સાથે જોડી કરવામાં આવે તો આ મુક્તિ દિવસ સાર્થકતા તરફ પોતાના કદમ માંડી શકે છે. દાદરા નગર હવેલીની શાળા-કોલેજોને પણ મુક્તિ દિવસની ઉજવણી સાથે જોડી પ્રદેશના ઇતિહાસથી રૂબરૂ કરાવી શકાય છે.
અત્રે યાદ રહે કે, પ્રદેશના સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારી વગર મુક્તિ દિવસની ઉજવણી ફક્ત ઔપચારિક બની રહેતી હોય છે. ભૂતકાળમાં મુક્તિ દિવસની ઉજવણી ફક્ત શાળાના વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સુધી જ સીમિત બની ચુકી હતી. હવે જ્યારે 70મા મુક્તિ દિવસની ઉજવણી તરફ આખો દાદરા નગર હવેલી જિલ્લો જઈ રહ્યો છે ત્યારે પુરા વર્ષ માટે સમય પત્રક બનાવી ઐતિહાસિક ઉજવણી વર્ષભર કરવાની આજના સમયની જરૂરિયાત છે.
સોમવારનું સત્ય
મુક્તિ દિવસ નિમિત્તે સરકારી કાર્યાલયો કે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવી જરૂરી નથી. કારણ કે, રજા દરમિયાન પર્વનું મહત્વ વિસારે પડતું હોય છે. તેની જગ્યાએ શાળા-કોલેજોમાં પ્રસંગને અનુરુપ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય, પ્રદેશે વિકાસની બાબતમાં ક્યાં અને ક્યારે થાપ ખાધી તેનું સામુહિક રીતે ચિંતન મનન અનેમંથન કરવામાં આવે તો આગામી ભાવિ પેઢીનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે છે.