વટાર-કુંતામાં રહેતો પરિવાર સોનવાડા મોસાળામાંથી પરત આવતા અકસ્માત સર્જાતા તીતર-વિતર થયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15
કોસ્ટલ હાઈવે પલસાણા નજીક મંગળવારે સાંજના બે કાર સામસામી ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ બાળકો સહિત આઠ ઘાયલ થયા હતા. જ્યારે જમાઈનું કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતના સમાચાર બાદ વટાર અને કુંતા ગામે ગમગીનીપ્રસરી જવા પામી હતી.
કુંતામાં રહેતા કેતનભાઈ હરીશભાઈ હળપતિ પરિવાર સાથે સોનવાડા ગામે પિતરાઈ સાળાના મોસાળામાં ગયા હતા. મારૂતિવાન નં.જીજે 1પ સીબી 7736 માં પરિવાર પ્રસંગ પતાવી મંગળવારે સાંજના ઘરે પરત આવી રહેલ હતો તે દરમિયાન દમણ તરફથી આવી રહેલ એકોર્ડ કાર નં. જીજે 01 કેએચ 84પ8 ના ચાલકે નશામાં ધૃત સ્થિતિમાં સામે આવી રહેલ મારૂતિ વાનને જોરદાર ટક્કર મારી દેતા આકસ્માત સર્જાયો હતો. વાનમાં બાળકો અને મોટેરા હોવાથી ચીસાચીસો પાડવા લાગ્યા હતા. કેતનભાઈના પત્ની આશિકાબેન, બે બાળકો કેયાન, નહેર, કાકી સાસું, દાદી વિગેરે મળીને 8 લોકો ઘાયલ થયા હતા. તાત્કાલિક વલસાડ સિવિલમાં ઘાયલોને ખસેડાયા હતા.
પોલીસે એકોર્ડ કાર ચાલક અનિલ અક્ષય નાહર રહે. બમરોલી સુરતની અટક કરી લીધી હતી. અકસ્માતમાં બન્ને કારોનો ભુક્કો બોલાઈ ગયો હતો જ્યારે કાર ચાલક જમાઈ કેતન હળપતિનું કરુણ મોત નિપજ્યું હતું.