- સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી બાંધકામ અને ઔદ્યોગિક એકમોમાં કાર્યરત કામદારો માટે સબસીડાઈઝ દર ઉપર શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પ્રદાન કરવાની શરૂ થયેલી ફરી યોજના
- દમણના જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રા અને સંયુક્ત શ્રમ સચિવ મોહિત મિશ્રાએ બાંધકામ કામદારો સાથે વાર્તાલાપ કરી જાણેલી સ્થિતિઃ સરકાર અને પ્રશાસનની વિવિધ યોજનાઓની પણ આપેલી માહિતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : કોવિડ-19ના કારણે પ્રભાવિત થયેલી સંઘપ્રદેશમાં બાંધકામ અને ઔદ્યોગિક એકમોમાં કાર્યરત કામદારો માટે સબસીડાઈઝ દર ઉપર શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પ્રદાન કરવાની યોજના સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી ફરી શરૂ કરવામાં આવી છે. આજે દમણના કલેક્ટર શ્રી સૌરભ મિશ્રા અને શ્રમ વિભાગના સંયુક્ત સચિવ શ્રી મોહિત મિશ્રાએ મરવડ હોસ્પિટલ વિસ્તારમાં કાર્યરત કન્સ્ટ્રક્શન એકમનું નિરીક્ષણ કરી કાર્યરત બાંધકામ ક્ષેત્રના કામદારો સાથે વાતચીત પણ કરી હતી અને તેમની સાથે બેસી શ્રમયોગી પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનાકુશળ માર્ગદર્શન અને સક્ષમ નેતૃત્વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા કામદારો અને ઔદ્યોગિક એકમોમાં કાર્યરત શ્રમિકો માટે સબસીડાઈઝ રેટ ઉપર શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પ્રદાન કરવાની શ્રમયોગી પ્રસાદ યોજના કાર્યાન્વિત કરાયેલી છે. જેના સંચાલનની જવાબદારી સંઘપ્રદેશ પ્રશાસને ટચ સ્ટોન ફાઉન્ડેશન(અક્ષયપાત્ર) સંસ્થાને સુપ્રત કરેલી છે. આ યોજના અંતર્ગત બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા કામદારોને સબસીડાઈઝ દર ઉપર ફક્ત રૂા.5 અને ઔદ્યોગિક એકમોમાં કાર્યરત શ્રમિકોને ફક્ત રૂા.10માં શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પ્રદાન કરવામાં આવે છે. સબસીડાઈઝ દર ઉપર વિતરણ કરાતા શ્રમયોગી પ્રસાદનું બાકીનું ભંડોળ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા વહન કરવામાં આવે છે.
આ સંઘપ્રદેશની મહત્વાકાંક્ષી યોજના કોવિડ-19ના કારણે પ્રભાવિત થઈ હતી પરંતુ પ્રશાસકશ્રીની પહેલથી હવે ફરી આ યોજના નિયમિત રૂપથી કાર્યાન્વિત કરવામાં આવી છે.
આજે શ્રમિકો સાથે ભોજન કરતા જિલ્લા કલેક્ટર શ્રી સૌરભ મિશ્રાએ શ્રમિકોને પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓની માહિતીનું આદાન-પ્રદાન પણ કર્યું હતું.
શ્રમિકોના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલ પારણાંઘરની સુવિધાની બાબતમાં પણ શ્રમિકોનેજાણકારી આપી હતી. જેમાં નિર્માણ સ્થળથી બાળકોને વાહનો દ્વારા પારણાંઘર સુધી લઈ જવામાં આવશે. જ્યાં નાનાં શીશુથી માંડી બાળ મંદિર જઈ શકતા બાળકોના અભ્યાસથી લઈ તેમના શિક્ષણ ઘડતરની ચોક્સાઈ પણ પ્રશાસન દ્વારા નિયુક્ત એજન્સી મારફત લેવામાં આવી રહી હોવાની માહિતી આપી હતી. સાંજે પરત સંબંધિત નિર્માણ એકમો ઉપર બાળકોને છોડવામાં આવશે. આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોના કામ દરમિયાન તેમના બાળકોને બુનિયાદી સુવિધા મળી શકશે એવી જાણકારી પણ આપી હતી.
આ પ્રસંગે શ્રમિકોએ પ્રશાસનનો આભાર પ્રગટ કરતા જણાવ્યું હતું કે, તેઓ પ્રશાસનની ઘણી યોજનાઓનો લાભ ઉઠાવી રહ્યા છે અને યોજનાઓ દ્વારા મળતું ભંડોળ સીધું તેમના બેંક ખાતામાં જમા થઈ રહ્યું છે.