પર્યાવરણના સંરક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવું જરૂરીઃ જિલ્લા અને સત્ર ન્યાયાધિશ એસ.એમ.ભોંસલે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : આજે દેશભરમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેની કડીમાં દમણ જિલ્લા અને સત્ર ન્યાયાલયના પરિસરમાં પણ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રી એસ.એમ.ભોંસલેએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ જેથી પર્યાવરણ સુરક્ષિત રહે અને આપણે સૌ તંદુરસ્ત રહીએ.
આજના ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે દમણ કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રીએસ.એમ.ભોંસલે, મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટ શ્રી પવન એચ. બનસોડ અને સિવિલ જજ શ્રીમતી સોનિયા નરેન્દ્ર સવાલેશ્વારકરે કોર્ટ પરિસરમાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રી એસ.એમ.ભોંસલેએ આમજતાને અપીલ કરી હતી કે આપણે સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણ વગર આપણું જીવન સંભવ નથી. પર્યાવરણ દિવસ માનવ સમાજને બચાવવા, પર્યાવરણની રક્ષા કરવા, પર્યાવરણ સાથે જોડાયેલ મુદ્દાઓ ઉપર વિચાર કરવા અને પર્યાવરણ સાથે સંકળાયેલ સમસ્યાઓનો હલ કાઢવા માટે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ મનાવવામાં આવે છે. શ્રી એસ.એમ.ભોંસલેએ જણાવ્યું હતું કે, વિશ્વ પર્યાવરણ દિવસની 1972માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા સ્થાપના કરવામાં આવી છે.
પર્યાવરણ દિવસનો ઉદ્દેશ વાતાવરણને સ્વચ્છ અને શુદ્ધ રાખવાનો છે. પર્યાવરણ દિવસના દિવસે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે છે. સંપૂર્ણ જીવન પર્યાવરણ ઉપર નિર્ભર રહે છે, આપણે સૌએ આપણાં પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે જાગૃત રહેવા જોઈએ અને અન્ય લોકોને પણ જાગૃત કરવા જોઈએ. પર્યાવરણ સ્વચ્છ રહેવાથી જ આપણે પણ સ્વસ્થ રહીશું.