(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલી પ્રશાસનના મહેસૂલ વિભાગની ટીમ દ્વારા સેલવાસ નગરપાલિકા વિસ્તારના દયાત ફળિયામાં સ્થિત ત્રણ ઝુંપડાઓનું સામા ચોમાસે ડિમોલિશન કરી દેતાં ત્રણ પરિવારના સભ્યો બેઘર બની ગયા છે. સેલવાસ મામલતદાર સહિત ટીમે ડિમોલીશન કરી દેતાં આ પ્રકરણ દાદરા નગર હવેલીમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે.
મળતી માહિતી પ્રમાણે દાનહ પ્રશાસન દ્વારા વર્ષ-2007માં ટ્રાન્સપોર્ટ નગરના નિર્માણ માટે આ જગ્યાની પસંદગી કરવામાં આવી હતી. અહીં અંદાજીત 40થી વધુ પરિવારો તેમના બાપ-દાદાના સમયથી આ જગ્યા પર રહેતા આવે છે, જેઓને તે સમયે સરકારના નિયમો મુજબ વળતર આપી જગ્યા ખાલી કરવા માટે જણાવેલ હતું, પરંતુ તે સમયે અહીં જે સ્થાનિકો રહેતા હતા તેઓએ આ જગ્યા છોડવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ ટ્રાન્સપોર્ટ નગરના નિર્માણ માટે આ જગ્યા જરૂરી હોવાથી પ્રશાસન દ્વારા ઝૂંપડા હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દયાત ફળિયાના ત્રણ ઝૂંપડામાં રહેતા આદિવાસીપરિવારોને પ્રશાસન દ્વારા વારંવાર વૈકલ્પિક જગ્યાએ સ્થળાંતર કરવાની સુચના આપી હતી, પરંતુ તેઓએ આ સ્થળ છોડવાનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે આજે સેલવાસના મામલતદારશ્રીના નેતૃત્વમાં આ દબાણ હટાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.