June 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

સંઘપ્રદેશમાં ભાજપ કોંગ્રેસ શિવસેના કે અપક્ષો સહિત તમામ રાજકીય-જૂથો પાસે નથી કોઈ એજન્‍ડા કે વિકાસની દીર્ઘદૃષ્‍ટિ

  • દેશ ધીરે ધીરે ચૂંટણી મોડ ઉપર આવી રહ્યો છે ત્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રાજકીય ઉદાસિનતા

  • ભાજપ દ્વારા લાભાર્થી સંમેલનોના આયોજન થઈ રહ્યા છે પરંતુ કલ્‍યાણકારી યોજનાઓના લાભાર્થી સુધી પહોંચવા પક્ષનું નેતૃત્‍વ નિષ્‍ફળ

  • ભાજપ જો અસરકારકતાથી ફક્‍ત પ્રદેશમાં થયેલા વિકાસને લોકો સુધી અત્‍યારથી લઈ જવાનું શરૂ કરે તો સંઘપ્રદેશની બંને સંસદીય બેઠકો ઉપર કમળ ખિલતા કોઈ રોકી નહીં શકે

હવે દેશ ધીરે ધીરે ચૂંટણી મોડ ઉપર આવી રહ્યો છે. 2024 લોકસભાની ચૂંટણી આડે માંડ હવે 9 મહિનાનો સમય બાકી રહ્યો છે. કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લોકસભાની બે બેઠકો છે. લક્ષદ્વીપ બાદ સૌથી ઓછા મતદારો વાળી આ બંને બેઠકો જીતવી તમામ રાજકીય પક્ષો માટે હંમેશા પડકાર રૂપ બની છે.
દમણ-દીવમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષનો દબદબો રહ્યો છે. જ્‍યારે દાદરા નગર હવેલીમાં લગભગ તમામ રાજકીય પક્ષો સક્રિય રીતે અત્‍યાર સુધી યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં ઉતરી ચુક્‍યા છે. જેમાં કોંગ્રેસ, ભાજપ, શિવસેના અને અપક્ષ તરીકે સાંસદો વિજેતા પણ બનીચુક્‍યા છે.
દેશ ભલે ઈલેક્‍શન મોડમાં આવી ચુક્‍યો હોય, પરંતુ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભાજપ કોંગ્રેસ અપક્ષ કે શિવસેના પણ અત્‍યાર સુધી નિષ્‍ક્રિય હોય એવું દેખાય છે. ભાજપ દ્વારા રાષ્‍ટ્રીય નેતાઓના માધ્‍યમથી જાહેર સભાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મોદી સરકારની 9 વર્ષની ઉપલબ્‍ધિઓ ગણાવવામાં આવી રહી છે. પરંતુ આ તમામ બાબતે બહુમતિ મતદારો ઉદાસિન હોવાનું દેખાય છે. તેથી આ બંને બેઠકો ઉપર અત્‍યારના સમયે કોણ વિજેતા બને તે કહેવું કસમયનું છે.
અત્રે યાદ રહે કે, છેલ્લા નવ વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિવિધ ક્ષેત્રે વિકાસના ઐતિહાસિક કામો થયા છે. મોદી સરકારે આ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશની કાયાપલટ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. વિકાસની દૃષ્‍ટિએ જો વિચારવામાં આવે તો, દાદરા નગર હવેલી અને દમણ-દીવની બંને બેઠકો ભાજપ માટે સલામત ગણાવી જોઈએ. પરંતુ પ્રદેશના થયેલા વિકાસને અને વિકાસના કારણે પ્રજાને થનારા ફાયદાની વાત લોકો સુધી પહોંચાડવા પ્રદેશ ભાજપનું તંત્ર નિષ્‍ફળ ગયું છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બંને મળી માંડ ચાર લાખ મતદારો છે. દમણ-દીવના સવા લાખ મતદારો સાથે તો ભાજપનો સીધો સંબંધ હોવો જોઈએ. કારણ કે, સવા લાખ મતદારો પૈકીના મોટાભાગનામતદારો મોદી સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થી છે. તેવી જ રીતે દાદરા નગર હવેલીમાં પણ લગભગ 2લાખ 75 હજાર જેટલાં મતદારો છે. તે પૈકીના અડધા કરતા વધુ મોદી સરકારની કલ્‍યાણકારી યોજનાઓના લાભાર્થી છે.
મોદી સરકારની કલ્‍યાણકારી યોજનાઓ ઉપરાંત સંઘપ્રદેશ પ્રશાસને શરૂ કરેલ મેડિકલ કોલેજ, પેરા મેડિકલ અભ્‍યાસક્રમો, એન્‍જિનિયરીંગ, નર્સિંગ કોલેજ વગેરેમાં પણ પ્રદેશના સેંકડો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ તમામ લાભાર્થીઓનો સરવાળો કરવા જઈએ તો દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લગભગ 75 ટકા જેટલા પરિવારો સામેલ છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આટલા મોટા પ્રમાણમાં સરકારની કલ્‍યાણકારી યોજનાઓનો લાભ પહેલી વખત પહોંચી રહ્યો છે. છતાં પણ પ્રદેશ ભાજપના કર્ણધારો મતદારો સુધી સંપર્ક જાળવવા નિષ્‍ફળ જઈ રહ્યા છે. જેનું પરિણામ આગામી ચૂંટણીમાં વિપરીત રીતે મળવાની સંભાવના છે.
અત્રે સૌથી મહત્‍વની વાત એ છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસ, શિવસેના કે અપક્ષ તમામ રાજકીય પક્ષો અને જૂથો નિષ્‍ક્રિય છે. દરેક પક્ષો પાસે પોતાનો કોઈ એજન્‍ડા નથી કે વિકાસની દીર્ઘદૃષ્‍ટિ પણ નથી. આવા પરિબળોમાં ભાજપ જો અસરકારકતાથી ફક્‍ત પ્રદેશમાં થયેલા વિકાસને લોકો સુધીઅત્‍યારથી લઈ જવાનું શરૂ કરે તો દાદરા નગર હવેલી અને દમણ-દીવ બંને સંસદીય બેઠકો ભાજપ માટે સલામત બની શકે છે.

સોમવારનું સત્‍ય

દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે સંઘપ્રદેશ પ્રશાસને સંપૂર્ણ ભોજન તૈયાર કરીને આપ્‍યું છે. હવે ફક્‍ત પિરસવાની કામગીરી ભાજપ દ્વારા કરવાની છે. છતાં પણ પ્રદેશ ભાજપ અવઢવમાં હોય એવું લાગે છે. જો ભોજનને યોગ્‍ય અને અસરકારક રીતે પિરસાશે તો આ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની બંને બેઠકોને ભાજપની ઝોળીમાં આવતાં કોઈ રોકી નહીં શકશે.

Related posts

કરચોંડ અને રાંધા, કૌંચાને જાડતા કોઝવે પર તુલસી નદીના પાણી ફરી વળ્યા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા 6 એપ્રિલથી ‘ગાંવ ગાંવ ચલો, ઘર ઘરચલો’ અભિયાન શરૂ કરાશે

vartmanpravah

vartmanpravah

રવિવારે જીએનએલયુ કેમ્‍પસ સેલવાસમાં નિઃશુલ્‍ક કોમન લૉ એડમિશન ટેસ્‍ટ ‘સીએલએટી’ માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

દાદરાના સામાજીક અગ્રણીએ એમની દીકરીના જન્‍મદિને શાળાના બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

દમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરાયા

vartmanpravah

Leave a Comment