વલસાડમાં રેલી, કપરાડામાં સંમેલન યોજાયું : ઢોલ, ડી.જે. સાથે પરંપરાગત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: 1993 યુનાઈટેડ નેશન્સે 9 ઓગસ્ટના દિવસના આંતરરાષ્ટ્રિયઆદિવાસી દિવસ તરીકે જાહેર કર્યા બાદ આદિવાસી દિવસની ઉજવણી ભારતભરમાં ઉજવાય છે. ગુજરાત પૂર્વ પટ્ટીનો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. તેથી પરંપરાગત 9મી ઓગસ્ટે તમામ વિસ્તારોમાં આજે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં વલસાડ શહેર, કપરાડા, ધરમપુર અને ઉમરગામમાં વિવિધ કાર્યક્રમો સાથે આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
વલસાડમાં આદિવાસી દિન ઉજવણી અંતર્ગત અટક પારડી ધોળીયા પટેલ સમાજ હોલથી રેલીનો પ્રારંભ થયો હતો. ડી.જે. ઢોલ ત્રાસાના તાલે યુવાનો નાચતા કુદતા રેલીમાં જોડાયા હતા. રેલી શહેરમાં ફરી કલ્યાણબાગ આંબેડકર પુતળાએ પહોંચી શાંતિપૂર્ણ સમાપ્ત થઈ હતી. પુતળાને હારતોરા કરવામાં આવ્યા હતા. કપરાડામાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને જી.પં. પ્રમુખ અલકાબેન શાહ સહિતની ઉપસ્થિતિમાં આદિવાસી દિનની ઉજવણી કરાઈ હતી. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિશિષ્ટ બાળકોનું સન્માન કરાયું હતું. આ ઉજવણી વિવિધ સ્કૂલોમાં કરાઈ હતી. ઢોલ ડુંગરી પ્રાથમિક શાળાના બાળકોએ કલ્ચર કાર્યક્રમ યોજી આદિવાસી દિનની ઉજવણી કરી હતી. ધરમપુરમાં વિશાળ રેલી યોજાયેલ બિરસા મુંડા સર્કલ ઉપર હારતોરા કરીને રેલી સમાપ્ત થઈ હતી.