(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.06: વતનથી અંદાજે 1300 કિ.મી. દુર ઉત્તર પ્રદેશનાએટાહમાં મળી આવતા પરિવારજનો સાથે મિલન થયું હતું. યુપીના એટાહ વિસ્તારમાં અવાર નવાર ભીખારીના વેશમાં જોવા મળતા કોઈકે વીડિયો બનાવી વાયરલ કરતા પરિવારને તેમની ભાળ મળી હતી. તેમના બે પુત્રોના અકસ્માતમાં મૃત્યુ બાદ તેઓએ માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. ભીખારીના વેશમાં મળેલ વ્યક્તિ શિક્ષિત અને નિવૃત બેન્ક મેનેજર હોવાનું બહાર આવતા યુપી પોલીસ પણ ચોંકી ગઈ હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામના માંહ્યવંશી મહોલ્લા ખાતે રહેતા દિનેશભાઈ ખુશાલભાઈ પટેલ જે મુંબઈમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં જનરલ મેનેજરના પદેથી 2009ના વર્ષમાં નિવૃત થયા હતા. અને પત્ની સાથે મુંબઈ ખાતે રહી જીવન ગુજરાત હતા. દિનેશભાઈના બે પુત્રોનું અકસ્માતમાં મોત નિપજતા તેમણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને વતન રાનવેરીખુર્દ ગામે રહેતા હતા. ત્યારે ઘરેથી ઘણીવાર બહાર નીકળી જતા હતા. પરંતુ એપ્રિલ-22માં તેઓ નિકળી ગયા બાદ પરત ન ફરતા પરિવારજનોએ ચીખલી પોલીસ મથકમાં ગુમ થયા અંગેની ફરિયાદ આપી હતી, પરંતુ તેમની ભાળ મળી ન હતી.
આ દરમ્યાન ઉત્તર પ્રદેશના એટાહ વિસ્તારમાં રોડવેઝ બસસ્ટેન્ડની બાજુમાં ભીખારીમાં વેશમાં એક શખ્સ અવાર નવાર ફરતો જોવા મળતા કોઈકતેનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો અને આ વીડિયો બાદ દિનેશભાઈની હકીકત બહાર આવતા તેમને કોતવાલી નગર પોલીસ પાસે પહોંચાડવામાં આવ્યા હતા. બીજી તરફ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયોના આધારે જાણ થતાં રાનવેરીખુર્દ તેમના પરિવારજનોએ ચીખલી પોલીસનો સંપર્ક કરતા રાનકુવા ચોકીના પોલીસકર્મી દિનેશભાઈ અને કલ્પેશભાઈ સહિતનો સ્ટાફ પરિવારજનો સાથે યુ.પી. પહોંચી સ્થાનિક પોલીસની મદદથી આ નિવૃત બેન્ક મેનેજર દિનેશભાઈ ને લઈને હાલે પરત ચીખલી આવવા યુપીથી રવાના થઈ ગયા હતા.
આમ સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રણેક માસમાં રાનવેરી ખુર્દના નિવૃત બેન્ક મેનેજરનું વતનથી અંદાજે 1300 કિ.મી દુર ઉત્તર પ્રદેશમાં પરિવારજનો સાથે મિલન થયું હતું. જેમાં સ્થાનિક ચીખલી અને ઉત્તર પ્રદેશ પોલીસની કામગીરી પણ સરાહનીય રહી હતી.