વિસર્જન કોઈપણ અનિચ્છીય બનાવ કે દુર્ઘટના નહીં સર્જાય તેનું સતત ખડેપગે ધ્યાન રાખી રહેલા પોલીસ અને હોમગાર્ડ તથા ફાયર ફાઈટર વિભાગના જવાનો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.20 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વિવિધ વિસ્તારોમાં પંડાલો તથા ઘરમાં દુંદાળા દેવ ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. દમણ જિલ્લામાં મોટી દમણમાં ભામટી, માંગેલવાડ, જમ્પોર, બારિયાવાડ, પટલારા તથા નાની દમણમાં સોમનાથ, દાભેલ, પાતલિયા, મરવડ, કચીગામ વગેરે વિસ્તારમાં વિવિધ મંડળો અને પરિવારો દ્વારા શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જેનું આજે ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે ભક્તિભાવ અને ભીની આંખો સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.
દાદરા નગરહવેલીમાં પણ સેલવાસ નગર સહિત વિવિધ વિસ્તારોમાં વિધિવિધાન પૂર્વક શ્રીજીની મૂર્તિની સ્થાપવામાં આવી હતી. આજે દોઢ દિવસના સ્થાપવામાં આવેલ તમામ ગણપતિની મૂર્તિઓનું ભક્તિભાવ અને સ્નેહ તથા ભીની આંખો સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. મોટી દમણમાં જમ્પોર બીચ તથા જેટી ખાતે દોઢ દિવસીય સ્થાપિત ગણેશ પ્રતિમાઓનું ભાવિક ભક્તોએ વાજતે ગાજતે ઢોલ નગારા સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે નાની દમણ જેટી ઉપર તથા દેવકા વિસ્તારમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સેલવાસમાં દમણગંગા નદી કિનારે રિવરફ્રન્ટ ખાતે નિર્મિત કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ પ્રશાસન અધિકારીઓના દિશા-નિર્દેશ મુજબ પોલીસ અને હોમગાર્ડ તથા ફાયર ફાઇટર વિભાગના જવાનોએ ખડે પગે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન કર્યું હતું.
અત્રે યાદ રહે કે, કોઈપણ અનિચ્છીય બનાવ કે દુર્ઘટના નહીં બને એનું ખાસ ધ્યાન રાખતાં દાદરા નગર હવેલીમાં કોઈપણ મંડળને પરિવારને દમણગંગા નદીમાં મુર્તિ વિસર્જન માટે પ્રશાસન દ્વારા પરવાનગી આપવામાં આવેલ આવેલ નથી. આ સૂચનાનું સખ્ત પાલન કરવામાં પણ જણાવાયું છે.