Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લદાખના સ્‍થાપના દિવસની આનંદ ઉત્‍સાહ અને સાંસ્‍કૃતિક વિરાસતના આદાન-પ્રદાનથી કરાયેલી ઉજવણી

લદાખના પ્રતિનિધિ મંડળનો કરાયેલો આદર-સત્‍કારઃ પ્રતિનિધિ મંડળે રજૂ કરેલ આકર્ષક સાંસ્‍કૃતિક કાર્યક્રમ
પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાએ લદાખના સ્‍થાપના દિનની ઉજવણીના મહત્ત્વની આપેલી સમજ
લદાખ કેન્‍દ્ર શાસિત પ્રદેશ બન્‍યો છે ત્‍યારથી પ્રદેશે પકડેલી સર્વાંગી વિકાસની દિશાઃ સાંસદ લાલુભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લદાખના સ્‍થાપના દિવસની ઉજવણી મોટી દમણ ઢોલર ખાતે વીવીઆઈપી સરકિટ હાઉસ ખાતે કરવામાં આવી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ આયોજીત લદાખના સ્‍થાપના દિવસના સમારંભમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ લદાખથી આવેલ ડેલીગેશન પણ સામેલ થયું હતું.
પ્રારંભમાં પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલાએ લદાખથી આવેલ પ્રતિનિધિ મંડળનું અભિવાદન કર્યું હતું અને મોમેન્‍ટોની ભેટ આપી હતી. લદાખના ડેલીગેશને પણ લદાખની મશહૂર પાશમીના શાલ પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલા, દમણ-દીવના સાંસદ શ્રીલાલુભાઈ પટેલ, સંઘપ્રદેશના ડીઆઈજી શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરે અને જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાને ભેટ આપી હતી.
આ પ્રસંગે લદાખ ડેલીગેશનના પ્રતિનિધિએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ અંતર્ગત લદાખના ઉપ રાજ્‍યપાલ શ્રી બી.ડી.મિશ્રા(નિવૃત્ત બ્રિગેડિઅર)એ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની મુલાકાતનો અવસર આપ્‍યો છે. જ્‍યારથી લદાખ એ કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકે અસ્‍તિત્‍વમાં આવ્‍યો છે ત્‍યારથી વિકાસની રફતાર તેજ બની હોવાની લાગણી પણ પ્રગટ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યે પણ પોતાની કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરી હતી.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, લદાખને કેન્‍દ્ર શાસિત પ્રદેશ બનાવવાના લેવાયેલા નિર્ણયમાં લોકસભામાં મતદાન કરવાનું સૌભાગ્‍ય તેમને પ્રાપ્ત થયું હતું. જ્‍યારથી લદાખ કેન્‍દ્ર શાસિત પ્રદેશ બન્‍યો છે ત્‍યારથી આ પ્રદેશના વિકાસની દશા અને દિશા ખુલી હોવાની લાગણી પણ તેમણે વ્‍યક્‍ત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, મોદી સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. ત્રણ તલાકથી માંડી જમ્‍મુ કાશ્‍મીર અને લદાખને કેન્‍દ્ર શાસિત પ્રદેશ બનાવવાના મહત્ત્વાકાંક્ષી નિર્ણયો પણ સામેલ છે. તેમણે લદાખથી આવેલાપ્રતિનિધિ મંડળનું અભિવાદન પણ કર્યું હતું.
આ કાર્યક્રમના મુખ્‍ય અતિથિ પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલાએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, લદાખની સ્‍થાપના કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકે થઈ ત્‍યારથી પ્રવાસન સહિત માળખાગત ક્ષેત્રે પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. તેમણે કુદરતના સમૃદ્ધ નજારાથી સજ્જ લદાખને સ્‍થાપના દિવસ નિમિત્તે પોતાની ઉષ્‍માભરી શુભકામના પણ પાઠવી હતી.
શ્રી અમિત સિંગલાએ વધુમાં જણાવ્‍યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન જમ્‍મુ કાશ્‍મીર અને લદાખનો પ્રવાસન ક્ષેત્રે ખુબ વિકાસ થયો છે અને હાલમાં જ જી-20 સમિટનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં બંને સંઘપ્રદેશોની માળખાગત સુવિધાઓમાં પણ વધારો થયો છે.
અત્રે નોંધનીય છે કે, વિવિધ રાજ્‍યોના સ્‍થાપના દિવસ મનાવવાનો મુખ્‍ય ઉદ્દેશ ભારતીય સમાજને એકતા, સમરસતા અને વિશ્વાસની સાથે જોડવાનો છે. આ વિચાર ભારતીય સાંસ્‍કૃતિક વિવિધતાને સમૃદ્ધ કરી રાષ્‍ટ્રીય એકતાને મજબૂત કરવા અને દેશને ગૌરવાંન્‍વિત બનાવવા માટે છે. આ ઉદ્દેશના અંતર્ગત ભારતના વિવિધ ભાગોના લોકો વચ્‍ચે સાંસ્‍કૃતિક ભાષા સાહિત્‍યિક અને વૈજ્ઞાનિક જ્ઞાનનો વિનિમય અને ભાગીદારીને ઉત્તેજન આપવાનો છે.
આ પ્રસંગે દમણ-દીવના પૂર્વસાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિ સહિત વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો, જિલ્લા પંચાયત સભ્‍યો અને દમણ નગરપાલિકાના કાઉન્‍સિલરો સહિત આમંત્રિતો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે લદાખના પ્રતિનિધિ મંડળે વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કરી લદાખની સંસ્‍કૃતિથી દમણના લોકોને રૂબરૂ કરાવ્‍યા હતા.

Related posts

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

vartmanpravah

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા નજીક વાપી તરફની લાઈન ઉપર પડેલા ખાડા અને તૂટેલા રોડ અંગે ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

અનાવલ ડિવિઝનના તાબામાં આવતા સારવણી નવાનગરમાં વીજ કંપનીના બેદરકારી ભર્યા વહીવટ વચ્‍ચે ટ્રાન્‍સફોર્મર ઝુલા ખાઈ રહ્યું છે

vartmanpravah

કપરાડામાં સુથારપાડાના મેળા માટે આજથી ચાર દિવસ ધરમપુર ડેપો વધારાની એસ.ટી. બસો દોડાવશે

vartmanpravah

Leave a Comment