-
કચેરીમાં વીજળી અંગે લાપરવાહીનાં દૃશ્યો સામે આવ્યાં
-
ગુજરાતમાં વીજસંકટ નહીં સર્જાય, પણ વીજળી બચાવવા માટે કલેકટરશ્રીનો અનુરોધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.24
ભારત દુનિયાનું બીજું સૌથી મોટું કોલસા ઉત્પાદક હોવા છતાં હાલ દેશમાં કોલસાની અછત સર્જાઈ છે. એને કારણે સમગ્ર ઉત્તર, મધ્ય અને પૂર્વોત્તર રાજ્યોમાં વીજસંકટનો ખતરો સર્જાયો છે. 20 થી વધુ રાજ્યમાં લાંબા સમયથી વીજકાપ લાગુ કરાયો છે. ગુજરાતમાં વીજસંકટ નહીં સર્જાય, પણ વીજળી બચાવવા માટે સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સરકારી કચેરીઓમાં ટપકતા નળ અને વીજળીનો વેડફાટએ લોકોની નજરે આમ વાત છે. પણ હવે જ્યારે વીજળી અને પાણીની અછત ઊભી થઈ છે ત્યારે નવસારી જિલ્લા જિલ્લા કલેક્ટરે એક પરિપત્ર જાહેર કરીને દરેક સરકારી કચેરીઓને નિર્દેશ આપ્યા છે કે હવેથી કોઈ પણ અધિકારી કે કર્મચારી પોતાની ઓફિસમાં બિનજરૂરી વીજળીનો વેડફાટ ન કરે, તેમજ વોશરૂમમાંટપકતા નળ દ્વારા થતો પાણીનો વેડફાટ પણ ન થાય તે માટેની તકેદારી રાખવા દિશા નિર્દેશ અપાયા છે.
પરિપત્રની અમલવારી માટે દરેક કચેરીમાં નોડલ ઓફિસરની નિમણુંક થઈ છે અને તેમની નીચે ટીમ કામ કરશે. જો આ પરિપત્રનો અમલ નહી થાય તો અધિકારી કર્મચારીઓ વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે.
જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ દ્વારા દરેક સરકારી કચેરીઓને દિશા-નિર્દેશ આપ્યા છે. જેમાં હવેથી કામ અર્થે બહાર જતા કર્મચારીઓએ વીજળીના ઉપકરણો ફરજિયાત બંધ કરવા પડશે, જેની દેખરેખ માટે નોડલ ઓફિસરની પણ નિમણૂંક કરવામાં આવી છે. હાલ નવસારીના કલેક્ટર શ્રી અમિતભાઈ યાદવે આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લામાં ‘જળ મિત્ર’ કે ‘વોટર વોરીયર્સ’ જેવી થીમ પર નજીકના ભવિષ્યમાં પાણી બચાવવાની ઝુંબેશની ડ્રાઇવ લાવ્યા છે.
વાસ્તવિકતા ચકાસવા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે વીજસંકટના ભણકારા વચ્ચે ચીખલી તાલુકા સેવાસદનની ઓફિસમાં જાણે અધિકારીઓ અને કર્મચારીઓ લાપરવાહી દાખવતા હોય એવાં દૃશ્યો રિયાલિટી ચેક દરમિયાન કેમેરામાં કેદ થયાં છે. ઓફિસમાં કાઈ હાજર નહી હોય તો પણ પંખા, લાઈટ ધમધમે છે. સરકારની વાતોને જ સરકારી કર્મચારીઓ અને નેતાઓ ઘોળીને પી રહ્યાનોઘાટ જોવા મળી રહ્યો છે.
અધિકારીઓ કર્મચારીઓના રૂમમાં જતાં જ ઠંડી હવા શરીર સાથે સ્પર્શ કરતાં લાગ્યું કે કોઈ તો અંદર બેઠું હશે, પણ ખુરશી તરફ ધ્યાન ગયું તો શું… ખુરશી ખાલીખમ્મ જોવા મળી હતી. ઉપર પંખો ધમધમી રહ્યાં હતાં તેમજ ચેમ્બરની લાઇટો પણ ઝગમગાટ કરી રહી હતી. આ દૃશ્ય જોઈ સામાન્ય માણસને પણ મનમાં વિચાર આવે કે આપણે વીજળી બચાવવા માટે કેટલી કાળજી રાખીએ છીએ. ત્યારે આપણને જ વીજળી બચાવોના પાઠ ભણાવનારા જ લાપરવાહ…આ તે કેવી માનસિકતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, આ બાબત જ્યારે કલેકટરશ્રી નવસારીએ કહ્યું કે, આ બાબત ધ્યાનમાં આવશે કે તરત અમે કારણદર્શક નોટિસ આપીશું.