દાનહ જિ.પં. અધ્યક્ષ દામજીભાઈ કુરાડા, સેલવાસ ન.પા. અધ્યક્ષ રજનીબેન શેટ્ટી, દમણ જિ.પં. અધ્યક્ષ જાગૃતિબેન પટેલ, દમણ ન.પા. અધ્યક્ષ અસ્પી દમણિયા, દીવ જિ.પં. અધ્યક્ષ રામજીભાઈ અને દીવ ન.પા.ના અધ્યક્ષ હેમલતાબેન સોલંકીએ પ્રદેશનું કરેલું પ્રતિનિધિત્વ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.31 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં શરૂ કરાયેલ ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત આજે દેશભરમાંથી આ અભિયાન સાથે સંકળાયેલા જન પ્રતિનિધિઓ અને યુવાનો પોતપોતાના રાજ્યોમાંથી માટીના અમૃત કળશ લઈ દિલ્હી પહોંચ્યા હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નેતૃત્વત્રણેય જિલ્લાની જિલ્લા પંચાયત અને નગરપાલિકાના અધ્યક્ષોએ કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયા, દીવ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રામજીભાઈ, દીવ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી હેમલતાબેન સોલંકી, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા અને સેલવાસ નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી રજનીબેન શેટ્ટીએ નહેરૂ યુવા કેન્દ્રના સ્વયં સેવકો સાથે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત જમા કરાયેલી માટીના કળશો લઈ કર્તવ્ય પથ દિલ્હી પહોંચ્યા હતા.
આજે આ કાર્યક્રમના સમાપન સમારંભમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ‘મેરા યુવા ભારત’ અભિયાનની શરૂઆત કરાવી હતી અને પ્રધાનમંત્રીશ્રીએ ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ અમૃત કળશ યાત્રીઓને પણ સંબોધિત કર્યા હતા. આ અભિયાન દ્વારા માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ દ્વારા દેશી પ્રજાતિઓનું વાવેતર અને અમૃત વાટિકાના વિકાસ તથા સ્વાતંત્ર્ય સેનાઓ અને શહિદોના પરિવારજનો માટે સન્માન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના સમાપન સમારંભને પણ દિશા આપવામાંઆવી છે.
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્તવ્ય પથ પર મુકવામાં આવેલ ‘ભારત કળશ’ને નમન કર્યું હતું અને અમૃત વાટિકા તથા અમૃત મહોત્સવ સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો. આ અભિયાન અંતર્ગત દેશભરમાં બે લાખથી વધુ ‘વીરો કો વંદન’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત 2.36 કરોડથી વધુ સ્વદેશી રોપાઓનું વાવેતર કરાયું હતું. ‘વસુધા વંદન’ થીમ હેઠળ દેશભરમાં 2.63 લાખ અમૃત વાટિકાઓ બનાવવામાં આવી હતી. 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 2.3 લાખથી વધુ શિલા ફલકમ(સ્મારકો)બનાવવામાં આવ્યા છે અને તેજ સમયે ચાર કરોડથી વધુ સેલ્ફી અપલોડ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમમાં ‘માય યંગ ઈન્ડિયા’ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘માય યંગ ઈન્ડિયા’ અભિયાન ભારતના યુવાનોને રાષ્ટ્રનિર્માણના વિવિધ કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવવાની તક આપશે અને આવા નિર્માણ કાર્યક્રમો વિકસિત ભારતના નિર્માણમાં ભારતની યુવાશક્તિને એકીકૃત કરવાનો આ એક અનોખો પ્રયાસ છે.