પાણીનો વ્યય અટકાવવા કલેક્ટરએ પાણી વહેંચણી વિભાગોને વોટર મીટરો લગાવવા સૂચના આપી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની માસિક બેઠક તા.16 માર્ચના રોજ સવારે 11 કલાકે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં કુલ 3 પ્રશ્નોના 14 પેટા પ્રશ્નોની હકારાત્મક ચર્ચા થઈ હતી. જનહિતને લગતા આ પ્રશ્નોને ઉકેલવા માટે કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન અને સૂચન આપ્યું હતું.
ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના ઉમરગામ તાલુકાના દહેરી અને મરોલી બે પેટ્રોલ પંપોને સીએનજી ગેસ કનેક્શન બાબતે જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, સીએનજી ફૂલ ડીલર માલિકી ડીલર યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2024 હતી જેમાં આ એજન્સીઓએ અરજી કરી ન હતી પરંતુ યોજનાની જાહેરાત થતા ફરીથી આ યોજનામાં અરજી કરશે તો સીએનજી સ્ટેશન ફાળવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ધારાસભ્યશ્રીના અન્ય પ્રશ્ન નારગોલ દરિયા કિનારાનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દીવાલ બનાવવાની કામગીરી અંગે દમણગંગા નહેર સંશોધનવિભાગના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાએથી સંપૂર્ણ કાર્યવાહી બાદ રાજ્યકક્ષાએ ભલામણ કરી દેવામાં આવી છે. રાજ્ય કક્ષાએથી જરૂરી મંજૂરી મળ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભાઠી કરમબેલી ગામના ખેડૂતોનું રેકર્ડ પર નામ દાખલ કરાવવા બાબતે ઉમરગામ મામલતદારે જણાવ્યું હતું કે, નામ ફેરફારની નોંધ અરજી પુરાવાઓ સાથે રજૂ કરાઈ નથી તેમજ વન અધિકાર – 2006 હેઠળની જ છે તે પણ સ્પષ્ટ નથી. તેથી કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોમાં રેકોર્ડની ચકાસણી કરી વધુ કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
વલસાડ ધારાસભ્યશ્રીએ વલસાડ તાલુકાના નાની સરોણ (સરોધી) ને.હા.નં. 48 ઉપર ઓવરબ્રિજનું કામ આજદિન શરૂ થયુ નથી તેમ જણાવતા એન.એચ.એ.આઈ. ભરૂચના પ્રોજેક્ટ ડાયરેક્ટરના પ્રતિનિધિએ જણાવ્યું કે, કોન્ટ્રાકટરને એવોર્ડ અપાઈ ગયો છે હવે કામ શરૂ થઈ જશે અને અન્ય પ્રશ્ન નંદાવલા સરોધી નાની સરોણ ને.હા.નં. 48 પર સર્વિસ રોડ રીપેર કરવા અને સર્વિસ રોડના અધુરા કામ અંગે આ કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. ધારાસભ્યશ્રીના તાલુકાની નહેરોના રિપેરિંગ, નહેરોમાં પાણી રોટેશન, તળાવોમાં પાણી ભરી આપવાના આયોજન અને વલસાડના હરિયા ગામમાં પાકી નહેરના કામઅંગેના પ્રશ્નો અંગે અંબિકા વિભાગના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, નહેરોના રીપેરિંગની કામગીરી ત્રણ પેકેજમાં કરવામાં આવી રહી છે જે ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે. પાણીનું રોટેશન સમયસર કરવામાં આવી રહ્યું છે અને ઉનાળા દરમિયાન પણ રિપેરિંગના કારણે કોઈ પણ અડચણ વિના સમયસર પાણી પુરૂ પાડવામાં આવશે. તળાવોમાં હાલમાં પણ પાણી ભરવામાં આવ્યું છે અને સમયસર પાણી ભરી આપવામાં આવશે તેમજ પાણી વપરાશની માપણી માટે વોટર મીટર લગાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે જેથી પાણીનો વ્યય ન થાય. આ અંગે કલેક્ટરશ્રીએ પાણી ડિસ્ટ્રિબ્યુશન વિભાગોને સમયસર વોટર મીટરો લગાવવા સૂચના આપી હતી.
ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના જમીન સુધારણાના પ્રમોલગેશન અરજીઓ બાબતના પ્રશ્ને જમીન દફતર ખાતાના જિલ્લા નિરિક્ષકે જણાવ્યું હતું કે મોટા ભાગની અરજીઓમાં એકથી વધુ સર્વે નંબરો હોવાથી અરજી નિકાલમાં અડચણ આવે છે જો સાચી રીતે અરજી કરવામાં આવે તો અરજીઓનો નિકાલ વધુ ઝડપથી થઈ શકે. તેમજ કલેક્ટરશ્રીએ પ્રાંત અધિકારીને કાંઠા વિસ્તારોમાં આવેલા ગેરકાયદેસરના ઝીંગા તળાવો પર જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લાપોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટરશ્રી અનસુયા ઝા તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

