હવે પશુ પાલકોને દૂધ સાથે મધના ઉત્પાદન દ્વારા ઘર આંગણે આવકમાં વૃધ્ધિ થશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં દૂધ ઉત્પાદકો દ્વારાસ્થાપિત વસુધારા ડેરી દ્વારા સ્થાનિક બજારમાં વર્ષોથી ઉચ્ચ ગુણવતા યુક્ત દૂધ અને દહીં, છાશ, ઘી સહિતની દૂધ પેદાશો ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. હાલે વસુધારા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ઘર આંગણે તેમની આવકમાં વધારો થાય તે માટે મધમાખી ઉછેર પ્રોત્સાહિત કરી નવસારી-વલસાડ-ડાંગ જિલ્લાના સ્થાનિક દૂધ ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત મધને વિધિવત બજારમાં વેચાણની શરૂઆત કરવામાં આવી છે. વસુધારા ડેરી દ્વારા હાલમાં અલગ અલગ પ્રકારના અજમાના ફૂલ અને મિક્ષ ફુલના ફલેવર વાળું મધ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
વસુધારા ડેરી દ્વારા મધના વિધિવત વેચાણની શરૂઆત માટે ધરમપુરમાં વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ વાઇસ ચેરમેન સુધાબેન મેનેજીંગ ડિરેકટર નરેન્દ્રભાઈ વશી નવસારી-વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી ઉત્પાદક અને વેચાણ કરનાર સહકારી મંડળી (અમીધરા) ગણદેવીના ચેરમેન રાજેશભાઈ પટેલ સીઇઓ મદનભાઈ સદાવતી ઉપરાંત પશુપાલકો, દૂધ વિતરકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. બજારમાં મુકવામાં આવેલ વસુધારા મધ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની અધ્યાધુનિક સરકાર માન્ય સીએએલએફ લેબોરેટરીમાં ખાદ્ય સુરક્ષાના તમામ ધારા ધોરણે માટે ટેસ્ટ કરાવ્યા બાદ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભવો દ્વારા ગ્રાહકોમાટે ગુણવતા સુનિヘતિ કરીને ગુણવત્તાના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે તેમજ વ્યાજબી ભાવે મધ ઉપલબ્ધ કરાવવા માટે વસુધારા ડેરીની કટિબધ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો.
નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં લોકોને ઘર આંગણે રોજગારી માટે પર્યાય બનેલ વસુધારા ડેરી દ્વારા વસુધારા મધ ના ઉત્પાદન અને વેચાણ સાથે વધુ એક મોર પિચ્છ ઉમેરવામાં આવ્યું છે.