April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રિ-મોન્‍સુન બેઠક મળી, તમામ વિભાગના અધિકારીઓને એલર્ટ રહેવા તાકીદ કરાઈ

ચોમાસા દરમિયાન ગ્રામ્‍ય વિસ્‍તારમાં તલાટી ફિલ્‍ડમાં જ હોવા જોઈએ, આ બાબતે કોઈ બાંધછોડ ચલાવી લેવાશે નહી

સંબંધિત અધિકારીઓને ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અને તેની આગોતરી તૈયારી અંગે સૂચના આપવામાં આવી

તાલુકા કક્ષાએ નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી, તા.1 જૂનથીકંટ્રોલરૂમ ચાલુ થશે

જિલ્લામાં આવેલા વિવિધ રસ્‍તાઓ પર જ્‍યાં પણ ખાડા હોય તે આગામી 15 દિવસમાં વહેલી તકે પુરી દેવા જણાવાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: ચોમાસા પૂર્વે તૈયારીના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેક્‍ટરશ્રી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે પ્રિ-મોન્‍સુન કામગીરી અંતર્ગત કરવાની થતી કામગીરીઓના આયોજન અને જરૂરી વ્‍યવસ્‍થાઓની તૈયારીઓ સંદર્ભે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને ચોમાસા દરમિયાન કરવાની કામગીરી અને તેની આગોતરી તૈયારી અંગે સૂચના આપી હતી. જિલ્લા કક્ષાએથી નોડલ અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. તાલુકા વહીવટીતંત્ર આ નોડલ અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ ચોમાસા દરમિયાન કામગીરી બજાવશે.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ આગામી ચોમાસુ-2024 દરમ્‍યાન તા.01-06-24 થી તાલુકા કક્ષાએ ત્રણ શિફટમાં ચાલુ થનાર કંટ્રોલરૂમ, તાલુકામાં આવેલા ડેમ/કેનાલોની ચકાસણી તથા ભૂતકાળમાં નુકશાન પામેલા તળાવો અને ભારે વરસાદથી કટ ઓફ થયેલ ગામો/રસ્‍તાઓની વિગતો, વાહન વ્‍યવહાર માટે કરેલું વૈકલ્‍પિકવ્‍યવસ્‍થાનું આયોજન, તાલુકામાં વરસાદ માપક યંત્રની ચકાસણી, યાંત્રિક હોડીઓ/તરવૈયા/બચાવ રાહતની ટીમની યાદી તૈયાર કરવી, ભુતકાળમાં વરસાદ/પુરથી અસર પામેલા ગામોની યાદી બનાવવી, હોડી/લાઈફ જેકેટ/લાઈફ બોયા(રીંગ)/નાયલોન દોરડા/જનરેટર કેટલા છે અને તે ચાલુ હાલતમાં છે કે કેમ તેની ખરાઈ કરવી, નગરપાલિકા હસ્‍તકનાં ડી-વોટરીંગ પમ્‍પનું હાલનું સ્‍ટેટસ તપાસવુ, પૂર/વાવાઝોડા સમયે અસરગ્રસ્‍તોને સહી સલામત સ્‍થળે ખસેડવાના આશ્રય સ્‍થાનો તથા કામ ચલાઉ રાહત કેમ્‍પો ચાલુ કરવાના સ્‍થળોની યાદીઓ તૈયાર કરવી, ફૂડ પેકેટ માટે સહાયરૂપ થાય તેવા ફઞ્‍બ્‍ ની માહિતી તૈયાર રાખવા સહિતના જરૂરી સૂચનો સંબંધિત વિભાગના અધિકારીઓને કર્યા હતા.
લાયઝન/નોડલ ઓફિસરોને ફાળવવામાં આવેલા તાલુકા/વિસ્‍તારની મુલાકાત લઈ ગ્રામ્‍ય પંથકના સંપર્ક માટે સરપંચ/તલાટી/સ્‍વૈચ્‍છિક સંસ્‍થા વિગેરેના ટેલીફોન/મોબાઈલ નંબરની અદ્યતન ડિરેકટરી બનાવવા કલેકટરશ્રીએ સૂચન કર્યુ હતું. પાણી ભરાઈ જતા સ્‍થળાંતર કરવાની જરૂર જણાય તો કાર્યવાહી કરવી, આશ્રયસ્‍થાનો નકકી કરવા, આશ્રયસ્‍થાનો પર પાણી, ફુડ પેકેટ, દવા તથા જીવન જરૂરી તમામ આવશ્‍યક ચીજવસ્‍તુઓની વ્‍યવસ્‍થા કરવી. ડી વોટરીંગ કરવાની આવશ્‍યકતા જણાય તો તાત્‍કાલિક કાર્યવાહી કરવા સૂચનો કર્યા હતા.કલેકટરશ્રીએ તમામ અધિકારીઓને દામીની એપ, મૌસમ એપ અને મેઘદૂત એપ મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવા જણાવ્‍યું હતું. જિલ્લામાં આવેલા તમામ રસ્‍તા પર નાળા, કોઝવે કે પુલ ડૂબાણમાં જતા હોય તેવા લોકેશનની યાદી બનાવી દરેક પોલીસ સ્‍ટેશન અને મામલતદાર કચેરીમાં મુકવા સૂચન કર્યુ હતું. વધુમાં કલેકટરશ્રીએ તાકીદ કરતા કહ્યું કે, ચોમાસા દરમિયાન ગ્રામ્‍ય વિસ્‍તારમાં તલાટી ફિલ્‍ડમાં જ હોવા જોઈએ. આ બાબતે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહી. જિલ્લામાં એક્‍સપ્રેસ -વે અને બુલેટ ટ્રેન સહિતના પ્રોજેકટોનું કામ ચાલી રહ્યું હોવાથી જમીન ખોદકામ અને પુરાણ થતા જમીનનું લેવલ બદલાયેલું હોય છે જેથી આવા સ્‍થળોને ઓળખી પાણી ભરાવાના પ્રશ્નો દૂર કરવા. પશુપાલન, બાગાયત અને ખેતીવાડી શાખાના અધિકારીઓને ચોમાસા દરમિયાન વિશેષ સતર્ક રહેવા જણાવ્‍યું હતું. ખાસ કરીને નુકસાની વળતરના કેસમાં તલાટી- ગ્રામ સેવકે નુકસાનીની વીડિયોગ્રાફી મોબાઈલમાં કરી લેવી જેથી વળતર મુદ્દે કોઈ મુશ્‍કેલી ન આવે.
નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનસૂયા જ્‍હાંએ માનવીય સંવેદનાસભર વલણ દાખવી અધિકારીઓને તાકીદ કરી કે, રસ્‍તા પર જ્‍યાં પણ ખાડા હોય તે આગામી 15 દિવસમાં વહેલી તકે પુરી દેવા. કારણકે, ચોમાસામાં પાણી ભરાવાના કારણે ખાડા દેખાતા નથી અને ઘણીવાર લોકોના જીવ જાય છે. આ સિવાય વીજ કંપની, સિંચાઈ, આરોગ્‍ય, સિવિલ હોસ્‍પિટલ, પોલીસ, ગેસ કંપની, એસટી, આરટીઓ, હોમગાર્ડ, દમણગંગા સિંચાઈ વર્તુળ, પુરવઠા શાખા, પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ, બીએસએનએલ, તમામ પાલિકાના ચીફ ઓફિસરો અને તાલુકા વિકાસ અધિકારીઓ, રેલવે એરિયા મેનેજર અને વન વિભાગ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જે તમામને ચોમાસા દરમિયાન માનવ મૃત્‍યુ ન થાય તે માટે સૌને એલર્ટ રહેવા જણાવ્‍યું હતું. જિલ્લા ડિઝાસ્‍ટર શાખા દ્વારા તમામ અધિકારીઓને પીપીટી દ્વારા પોતાની કામગીરી વિશે ચિતાર આપવામાં આવ્‍યો હતો. બેઠકમાં સંબંધિત વિભાગના વડાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
-000-

Related posts

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘‘સ્‍વનિધિ મહોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

એસઆઈએ અને સરીગામ જીપીસીપી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉત્‍સાહભેર ઉજવણી

vartmanpravah

દમણની ઘેલવાડ ગ્રામ પંચાયતમાં ‘સબકી યોજના સબકા વિકાસ’ અંતર્ગત યોજાઈ ગ્રામસભા

vartmanpravah

દૂધની પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામડાં તરફ શિબિર’ યોજાઈ

vartmanpravah

ડીએનએચ સિવિલ સોસાયટીના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિએશન કાયદાની દ્રષ્ટિએ માન્‍ય કે અમાન્‍ય ચાલુ થનારી તપાસ

vartmanpravah

Leave a Comment