(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.20: નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ, ચીખલી દ્વારા અન્ય રાજ્યની મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવીને ખૂબ જ ઉમદા કામગીરી બજાવી છે. નારી સંરક્ષણ કેંદ્ર, ખુંધ ચીખલી, ખાતે આશ્રિત બહેન શિલ્પાબેન સુરેશભાઇ યાદવ ઉ.વ.-24 છેલ્લા એક માસથી નારી સંરક્ષણ કેંદ્ર, ખુંધ ચીખલીમાં આશ્રય લઈ રહ્યા હતાં. શિલ્પાબેન તા.23/11/2024 ના રોજ સખી વન સ્ટોપ સેન્ટર વલસાડ દ્વારાઆશ્રય હેઠળ હતા. ત્યાર બાદ છેલ્લા એક માસથી નારી સંરક્ષણ કેંદ્ર ખુંધ ખાતે રાખવામાં આવી હતી. શિલ્પાબેનને તેમના ઘર-પરિવાર વિશે માહિતી મેળવતા, તેઓ ધારાપુર તા. કુંદા જિ. પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. શિલ્પાબેન પરણિત હતા પરંતુ એમના પતિ સાથે આશરે 4 (ચાર) વર્ષથી સાથે રહેતા ન હતા. તેમના પતિ સાથે દહેજ બાબતે કોર્ટમાં કેસ ચાલે છે. જેથી તેઓ માનસિક તણાવમાં હોવાથી તેમના વતનથી ટ્રેનમાં બેસી નિકળી આવ્યા હતા. આશ્રિત બહેન એમના પિયરમાં માતા-પિતા સાથે રહેતા હતા. નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા આશ્રિત બહેન પાસેથી સંપર્ક નંબર મેળવી, તેમના માતા-પિતા સાથે સંપર્ક કર્યો હતો. આશ્રિત બહેનને તેમના માતા-પિતા ઘરે લઈ જવા માંગતા હતાં. અને આશ્રિત બહેન પણ માતા-પિતા સાથે રહેવા માંગતા હતા.
નવસારી જિલ્લા કલેકટરશ્રી અને કમિટીના સભ્યોની મંજૂરીથી આશ્રિત શિલ્પાબેનને તેમના માતા-પિતાને સોંપવામાં આવી હતી. નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધની કામગીરીને જિલ્લા કલેકટરશ્રીએ બિરદાવી હતી. આશ્રિત શિલ્પાબેનના માતા-પિતા દ્વારા દ્વારા નારી સંરક્ષણ કેંદ્રના મેનેજર ભાવિનાબેન આહિરનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર સંચાલિત નારીસંરક્ષણ કેંદ્ર, ખુંધ, ચીખલી, નવસારીની સંસ્થામાં પિડીત, અનાથ, ઘરેલુ હિંસાનો ભોગ બનનાર, દિવ્યાંગ, માનસિક બિમાર, હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલ વગેરે 18 થી 59 ઉંમરની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે. આ ઉપરાંત શૈક્ષણિક, આરોગ્યલક્ષી, બહેનો પોતાના પગભર થાય તે માટે આર્થિક ઉપાર્જનની તાલીમ અને સામાજિક અને ધાર્મિક વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને કાઉન્સેલિંગ કરી બહેનનું પરિવારમાં યોગ્ય પુનઃસ્થાપન થાય તે હેતુથી બહેનને પ્રવેશ અને પુનઃસ્થાપનની કામગીરી કરવામાં આવે છે. આશ્રિત બહેનોનું પુનઃસ્થાપન બે પ્રકારે કરવામાં આવે છે. જેમાં અનાથ બહેનોનું લગ્ન દ્વારા તથા રોજગારી પુરી પાડી અથવા નોકરી લગાવીને પુનઃસ્થાપન તેમજ અન્ય બહેનોનું કુટુંબમાં પુનઃસ્થાપન તથા અન્ય સંસ્થામાં ફેરબદલી દ્વારા સંસ્થામાં વસવાટ દરમ્યાન આશ્રિત બહેનોને તમામ પ્રકારની સુવિધાઓ વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે.
