-
દીવની સરકારી કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ તરીકે એડીએમ વિવેક કુમારને સોંપાયેલો વધારાનો અખત્યાર
-
ફેરબદલીથી પ્રશાસનમાં તાજગી અને ગતિશીલતા આવવાની સાથે એકાદ વિભાગની બંધ મુઠ્ઠી પણ ખુલવાની સંભાવના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કેટલાક દાનિક્સ અધિકારીઓના વિભાગોમાં ફેરબદલ કરવાનો આદેશ જારી કર્યો છે. જેમાં કેટલાક દાનિક્સ અધિકારીઓને રૂઆબદાર પોસ્ટિંગ મળી છે તો, કેટલાકને લાંબા સમય બાદ બીજા વિભાગોમાં કામ કરવાની તક ઉભી થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શ્રી સુરેશ કુમાર મીણાને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ આરોગ્ય અને પરિવાર કલ્યાણના સંયુક્ત સચિવની સાથે દાનહ અને દમણ-દીવ નેશનલ હેલ્થ મિશન(એનએચએમ)ના મિશન ડાયરેક્ટર, ફૂડ સિવિલ સપ્લાય અને કઝ્યુમર એફેર્સ તથા લિગલ લિટરોલોજી વિભાગ દાનહ અને દમણ-દીવના ડાયરેક્ટર કમ જોઈન્ટ સેક્રેટરી અને ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગના સંયુક્ત આયુક્ત તરીકેની વધારાની જવાબદારી પણ સુપ્રત કરવામાંઆવી છે.
શ્રી અરુણ ગુપ્તાને દમણ ન.પા.ના ચીફ ઓફિસરની સાથે સંઘપ્રદેશના શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ તથા સંઘપ્રદેશના પ્રવાસન, આર્કિઓલોજી અને આર્ચિવ્સ, સ્પોર્ટસ અને યુથ અફેર્સ અને આર્ટ અને કલ્ચર વિભાગના ડાયરેક્ટર કમ જોઈન્ટ સેક્રેટરીનો પણ વધારાનો અખત્યાર સોંપવામાં આવ્યો છે. તેઓ દમણના હેડ ઓફ સ્પોર્ટસ તરીકે પણ પોતાની કામગીરી બજાવશે.
શ્રી એસ.ક્રિષ્ના ચૈતન્યને સંઘપ્રદેશના ઈન્ડસ્ટ્રીઝ, ટ્રેડ અને કોમર્સ વિભાગના ડાયરેક્ટર કમ ડેપ્યુટી સેક્રેટરીની સાથે ડીઆઈસીના જનરલ મેનેજર, ડીઆઈસી દાનહના ફંક્શનલ મેનેજર, દાનહની કો-ઓપરેટીવ સોસાયટીના આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર, સંઘપ્રદેશના આઈ.ટી.ડાયરેક્ટર અને આઈ.ટી. વિભાગના સંયુક્ત સચિવ તરીકેની પણ વધારાની જવાબદારી સુપ્રત કરાઈ છે.
શ્રી જતિન ગોયલને દાનહ અને દમણ-દીવના કાર્મિક વિભાગના ડાયરેક્ટર કમ ડેપ્યુટી સેક્રેટરીની સાથે સંઘપ્રદેશના સમાજ કલ્યાણ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી, સમાજ કલ્યાણ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર, સંઘપ્રદેશના પ્રશાસક કાર્યાલયના મોનિટરીંગ સેલના ઈન્ચાર્જ અને સંઘપ્રદેશના સ્ટાફ સિલેક્શન બોર્ડના ડેપ્યુટી સેક્રેટરી તરીકેનો પદભાર પણ તેઓ સંભાળશે.
દીવના એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટશ્રી વિવેક કુમારને દીવની સરકારી કોલેજના પ્રિન્સીપાલ તરીકેનો પણ વધારાનો હવાલો સુપ્રત કરવામાં આવ્યો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ચાર દાનિક્સ અધિકારીઓ સિવાય અન્ય અધિકારીઓના વિભાગોમાં કોઈ ફેરબદલ કરી નથી.આ ફેરબદલીથી પ્રશાસનમાં તાજગી અને ગતિશીલતા આવવાની સાથે એકાદ વિભાગમાં ચાલતા ભેદ-ભરમો ઉપરથી પડદો હટવાની સંભાવના પણ જોવાઈ રહી છે.