પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાની પાંચ દિવસની દિલ્હી મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય વરિષ્ઠ મંત્રીઓ સમક્ષ દાદરા નગર હવેલી, દમણ-દીવ અને લક્ષદ્વીપના વિકાસની રજૂકરેલી તસવીર ઉપર મારેલી મહોર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 07
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની પાંચ દિવસની દિલ્હી મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ સહિત અન્ય વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક કરી દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના સર્વાંગી વિકાસ ઉપર મહોર મરાવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ગત તા. 03 થી 07 માર્ચ દરમિયાન દિલ્હીની સત્તાવાર મુલાકાતે હતા. આ મુલાકાત દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી તથા રક્ષામંત્રી અને આરોગ્ય પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ફર્ટીલાઈઝર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, કપડા, વાણિજ્ય, ઉદ્યોગ, ગ્રાહક વિષયક, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પિયુષ ગોયલ અને રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, રેલ્વે મંત્રી, સંચાર અને ઈલેકટ્રોનિક્સ અને આઈ.ટી.મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને પર્યાવરણ, વન અને જલ વાયુ પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સાથે બેઠક કરી દાદરા નગર હવેલી, દમણ-દીવ અને લક્ષદ્વીપના વિવિધ વિકાસકામો ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી. તમામ મંત્રીઓએ પ્રદેશના વિકાસ લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે પૂરોસહયોગ અને સમર્થન આપવાનું પણ આશ્વાસન આપ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ-દીવ અને લક્ષદ્વીપ ઉપર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સીધી નજર હોવાની સાથે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા થઈ રહેલા વિવિધ વિકાસના કામો અને સુધારાઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોવાના કારણે આવતા દિવસોમાં બંને કેન્દ્ર શાસિત પ્રદેશોનો આકાશને આંબતો વિકાસ થશે એવો વિશ્વાસ પણ પ્રગટ થઈ રહ્યો છે.