-
માહ્નાવંશી સમાજના નવા ઈતિહાસનું સર્જનઃ સ્થળ ઉપર રૂ. ૪૫ લાખનું મળેલું દાન
-
અતિથિ ગૃહ ફક્ત સળિયા, સિમેન્ટ અને ઈંટનું નહી પરંતુ પ્રત્યેક માહ્યાવંશી સમાજના સંઘર્ષ, શૌર્ય, શક્તિ અને સંગઠનથી બનશે અને માહ્યાવંશી સમાજના લોકો પેઢી દર પેઢી સુધી આ અતિથિ ગૃહને પોતાના સ્વાભિમાનથી જોતા રહેશેઃ મનહરભાઈ પટેલ-એમવીએમના મેનેજીંગ ટ્રસ્ટી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.09
ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ ઉપર હોટલ સહ્યાદ્રિની સામે તલાસરી ખાતે માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ ગત શનિવારે જમીન દાતા કેપ્ટન શ્રી અમૃતભાઈ માણેક અને તેમના પરિવાર દ્વારા સમસ્ત સમાજની હાજરીમાં કરાયો હતો. ઉમદા અને પવિત્ર ભાવના સાથે માહ્યાવંશી સમાજના અતિથિગૃહના નિર્માણ માટે આગળ વધી રહેલા માહ્યાવંશી વિકાસ મંચના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનહરભાઈ પટેલના એક અવાજે સ્થળ ઉપર રૂા. 45 લાખનું માતબર દાન એકત્ર થતાં સમાજના એક નવા ઈતિહાસનું પણ સર્જન થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનહરભાઈ પટેલે પોતાના સ્વજનોના સ્મરર્ણાર્થે ઉદાર હાથે ફાળો આપવા સમાજના શ્રેષ્ઠીઓને અપીલ કરી હતી, જેના પડઘા સ્વરૂપ દાનનો પ્રવાહ હજુ પણ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે,ર0 વર્ષ પહેલા સાપુતારાના શિખરેથી માહ્યાવંશી વિકાસ મંચની શરૂ થયેલી વિકાસયાત્રા અવિરત ચાલુ છે અને સમાજના દાતાઓથી અત્યાર સુધી અનેક યોજનાઓ સફળ થઈ છે જ્યારે અતિથિ ગૃહની યોજના પણ સફળ થશે એવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શ્રી મનહરભાઈ પટેલે પોતાની ભાવવાહી શૈલીમાં જણાવ્યું હતું કે, આ અતિથિ ગૃહ ફક્ત સળિયા, સિમેન્ટ અને ઈંટનું નહી પરંતુ પ્રત્યેક માહ્યાવંશી સમાજના સંઘર્ષ, શૌર્ય, શક્તિ અને સંગઠનથી બનશે અને માહ્યાવંશી સમાજના લોકો પેઢી દર પેઢી સુધી આ અતિથિ ગૃહને પોતાના સ્વાભિમાનથી જોતા રહેશે.
પ્રારંભમાં અમદાવાદની સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રીબ્યુનલના જ્યુડિશિયલ સભ્ય શ્રી જયેશભાઈ ભૈરવિયાનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના પિતા મુંબઈ હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ સ્વ. વિનુભાઈ ભૈરવિયાની સમાજ પ્રત્યેની લાગણીને પણ વાગોળવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જમીનના દાતા અને દાનવીર કેપ્ટન શ્રી અમૃતભાઈ માણેકના પરિવાર દ્વારા અતિથિ ગૃહના નિર્માણ બાદ એક એમ્બ્યુલન્સ ભેટ આપવાની પણ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને મુંબઈ સુધીના માહ્યાવંશી સમાજના આગેવાનો હોંશભેર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સમાજના આગેવાન શ્રીજીતુભાઈ સુરતી(રાજગરી), પૂર્વ આર.ટી.ઓ. શ્રી મહેશભાઈ ભારતી, શ્રીમતી કલ્પનાબેન મિષાી, દમણથી શ્રી વિષ્ણુભાઈ દમણિયા, શ્રી રમેશભાઈ માહ્યાવંશી, દમણ વિદ્યુત વિભાગના સહાયક ઈજનેર શ્રી અનિલભાઈ દમણિયા, દમણના ગેઝેટેડ અધિકારી શ્રીમતી શર્મિલાબેન દિવ્યાંગ પરમાર, શ્રી કિશોરભાઈ દમણિયા, શ્રી મણિલાલ કોન્ટ્રાક્ટર, એડવોકેટ શ્રી કેતનભાઈ પટેલ, શ્રી સત્યેનભાઈ વાઘેલા, ભરુચથી શ્રી સુરેશભાઈ મહેતા, સુરતથી એડવોકેટ શ્રી અશોકભાઈ બલેશ્વર, એડવોકેટ શ્રી ચંપકભાઈ પરમાર, ટ્રસ્ટી શ્રી વસંતભાઈ પરમાર, શ્રી જીતેન્દ્રભાઈ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.