ભાજપા દ્વારા સંસદમાં ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીનું પણ અપમાન કરવામાં આવ્યું છે અને રાહુલ ગાંધીને મીરજાફર જેવા નામો આપી મંત્રીઓએ સંસદમાં રાહુલ ગાંધીની સાથે તેમની માતાનું પણ અપમાન કર્યું છે, તેવા લોકો ઉપર સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, તેમના ઉપર કોઈ કેસ પણ કરાયો નથી અને તેઓની સદસ્યતા પણ શા માટે રદ્ કરાઈ નથી?: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મહેશ શર્માએ પૂછેલો પ્રશ્ન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્ થયા બાદ પાર્ટી જોરશોરથી મેદાનમાં ઉતરી પડી છે. આજે દાદરા નગર હવેલી કોંગ્રસ દ્વારા પ્રદેશમાં ‘સંકલ્પ સત્યાગ્રહ’ કર્યો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપા ઉપર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી તથા ગાંધી પરિવારને બદનામ કરવાનો આરોપ લગાવી સૂત્રોચ્ચાર કર્યો હતો. દાનહ કોંગ્રેસે રાહુલ ગાંધીના સમર્થનમાં મોરચાબંધી પણ કરવામાં આવી હતી. આ ‘સંકલ્પ સત્યાગ્રહ’માં દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશ શર્માએ રાહુલ ગાંધી અને તેમના પરિવારનો બચાવ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઅને ભારતીય જનતા પાર્ટી ઉપર શાબ્દિક હુમલો કર્યો હતો, અને કેટલાક મુદ્દે ગંભીર સવાલો પણ ઉઠાવ્યા હતા. દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશ શર્માએ જણાવ્યું હતું કે, ભાજપા દ્વારા સંસદમાં ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીનું પણ અપમાન કરવામાં આવ્યું છે અને હાલના કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રાહુલ ગાંધીને મીરજાફર જેવા નામો પણ આપવામાં આવ્યા અને ભાજપના મંત્રીઓએ સંસદમાં રાહુલ ગાંધીની માતાનું પણ અપમાન કર્યું છે. શ્રી મહેશ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, એક મુખ્યમંત્રીએ તો જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી નથી જાણતા કે એમના પિતા કોણ છે? પરંતુ એવા લોકો વિરુદ્ધ સરકાર દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી, તેમના ઉપર કોઈ કેસ પણ નથી કરાયો અને તેઓની સદસ્યતા પણ રદ્ નથી થતી. વળી, ભાજપાવાળા પરિવારવાદની વાત કરે છે, તેથી હું પૂછવા માંગું છે કે ભગવાન રામ કોણ હતા? શું તેઓ પરિવારવાદી હતા? અથવા પાંડવો પરિવારવાદી હતા? તેઓને ફક્ત એના માટે પરિવારવાદી કહેવું જોઈએ કે એમણે પરિવારોની સંસ્કૃતિના માટે લડાઈ લડી હતી.?
આજે યોજાયેલ ‘સંકલ્પ સત્યાગ્રહ’ રેલીમાં રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્ કરવાના વિરોધમાં સંઘપ્રદેશના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી મહેશ શર્મા, શ્રી મહેશ ધોડી, યુવાકોંગ્રેસ પ્રમુખ શ્રી યુવરાજ ધોડી, શ્રી સીતારામભઈ, શ્રી નૌસાદભાઈ, શ્રી પાવલુંસભાઈ, શ્રી રાજેશ શુક્લા, શ્રી કિરણભાઈ, શ્રી પ્રવીણભાઈ, શ્રી સુશીલ સિંહ, જુબેરભાઈ, શ્રી અરમાનભાઈ, શ્રી ઈરફાનભાઈ, શ્રી મુન્નાભાઈ, શ્રી શૈલેષભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.