(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.22
ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી મજીગામ-થાલા-પાટી માઇનોર કેનાલના તકલાદી કામને પગલે સરકારના લાખો રૂપિયા એળે જવાની ભીતિ સર્જાઈ રહી છે. નહેરની સપાટીને સિમેન્ટ કોંક્રીટવાળી પાકી બનાવવાના કામમાં અધિકારીઓની પૂરતી દેખરેખના અભાવે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે.
થાલા-પાટી માઇનોર કેનાલનું હાલે 19-લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવેલ છે. જેમાં સ્થાનિક કચેરીના ઇજનેરોની પૂરતી દેખરેખના અભાવે એજન્સીને જાણે છૂટો દોર મળી ગયો હોય તેમ ધારાધોરણોને નેવે મૂકી ગુણવત્તા વિહીન કામગીરી કરવામાં આવતા ટૂંકા ગાળામાં જ આ કોંક્રીટની સપાટીમાં ઠેર ઠેર તિરાડો પડવા સાથે કોન્ક્રીટની સપાટી તૂટી જઇ કોન્ક્રીટનું ભ્રષ્ટાચારરૂપી હાડપિંજર બહાર આવી જવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સ્થાનિક ઈજનેરોને પણ સરકારી ગ્રાન્ટમાંથી માત્ર મલાઈ ખાવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે.
ચીખલી તાલુકામાં છેલ્લા વર્ષોમાં ખેડૂતોને સમયસરપૂરતા પ્રમાણમાં પાણી મળી રહે પાણીનો બગાડ ન થાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે નહેરોની સપાટી સિમેન્ટ કોન્ક્રીટવાળી બનાવવામાં આવી છે. પરંતુ સિમેન્ટનું પ્રમાણ નિયત જોગવાઈ મુજબ ન રાખી હલકી અને નબળી કામગીરી કરાતા ટૂંકા સમયમાં જ કોન્ક્રીટના પોપડા બહાર આવી જવા પામ્યા છે અને રીતસરનો ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે. પરંતુ કાગડા બધે જ કાળા હોય તેમ ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ પણ થતી નથી અને સરકારના કરોડો રૂપિયાના ઓધણ બાદ ખેડૂતોને લાભ મળતો નથી.
બીજી તરફ સરકારના લાખો રૂપિયા એળે જવા પામ્યા છે. નહેરના કામમાં માત્ર એજન્સી અને લાંચિયા અધિકારીઓના ખિસ્સા જ ભરાયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે તટસ્થ તપાસ થાય અને જવાબદારો સામે પગલાં લઈ ગુણવત્તાયુક્ત કામગીરી થાય તે જરૂરી છે. અંબિકા સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઈજનેર જીજ્ઞેશભાઈ જણાવ્યાનુસાર હાલે થાલા-પાટી માઇનોર કેનાલની એક કિમી લંબાઈમાં પાકી બનાવવાનું કામ રૂા.19-લાખના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે.