૭૬૭૮ ઉમેદવારો આપશેઃ પરીક્ષાના સુચારુ આયોજન માટે કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૨૪: ગુજરાત યુનિવર્સીટી પ્રોફેશનલ પરીક્ષા સમિતિ, અમદાવાદ દ્વારા આયોજિત વનરક્ષક સંવર્ગ-૩ની જાહેર પરીક્ષા તા.૨૭/૩/૨૦૨૨ને રવિવારના રોજ વલસાડ જિલ્લાના ૨૧ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર પરીક્ષામાં ૭૬૭૮ ઉમેદવારો પરીક્ષા આપનાર છે. આ પરીક્ષામાં પેપરનો સમયગાળો બપોરે ૧૨-૦૦ કલાકથી બપોરે ૨-૦૦ કલાક સુધીનો રહેશે. પરીક્ષાર્થીઓ સારી રીતે, વિશ્વાસ સાથે અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે એ હેતુસર નિવાસી અધિક કલેકટર એન.એ. રાજપૂતની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં પરીક્ષાલક્ષી તમામ આનુસાંગિક બાબતોને આવરી લેવામાં આવી હતી. નિવાસી અધિક કલેકટરે પરીક્ષાલક્ષી સુચારૂ આયોજન કરી પરીક્ષાની તમામ કામગીરી તટસ્થ રીતે કરવાની સંબંધિત તમામ અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ. વસાવાએ તમામ પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, તમામ પેટા પરીક્ષા કેન્દ્રો ખાતે ભૌતિક સગવડો જેવી કે ફરજિયાત કેમેરાની સગવડ, બ્લોકની વ્યવસ્થા, કંપાઉન્ડ, લાઇટ, પંખા, પીવાના પાણીની સુવિધા સાથે ઉપલબ્ધ છે. આ પરીક્ષા સંદર્ભે કલેક્ટર કચેરીના સ્ટાફ, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના સ્ટાફ, જિલ્લા શિક્ષણાધિકારીના સ્ટાફ અને પરીક્ષા સ્થળો પર સ્થળ સંચાલકો અને પરીક્ષા સ્થળના તમામ સ્ટાફ, એક નાયબ કો-ઓર્ડીનેટર, ૨૧ ઓબ્ઝર્વર, ૨૧ તકેદારી અધિકારી તરીકે વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ અને જિલ્લા વન અધિકારી, વલસાડ દ્વારા પાંચ ફલાઇંગ સ્ક્વોડની પરીક્ષા કેન્દ્રો ખાતે સતત દેખરેખ અર્થે નિમણૂક કરવામાં આવી છે.
પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા બિલ્ડીંગોની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, પરીક્ષાર્થીઓ પરીક્ષામાં કોઇપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક, ડીજીટલ કે સ્માર્ટ ઉપકરણો અને બિન અધિકૃત સાહિત્યનો ઉપયોગ ન કરવા માટે વલસાડ કલેકટર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળનું જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે. પરીક્ષાલક્ષી તમામ સાહિત્ય લાવવા કે લઈ જવા માટે, ઝોન કચેરી ખાતે, તેમજ પ્રત્યેક પરીક્ષા બિલ્ડીંગો ઉપર સલામતી વ્યવસ્થા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જરૂરિયાત મુજબનો પોલીસ બંદોબસ્ત કરવામાં આવશે.
પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલ તમામ અધિકારીઓ/કર્મચારીઓ અને પરીક્ષાર્થીઓ દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત સરકારની અદ્યતન સૂચનાઓનું પાલન કરવામાં આવશે, તથા તમામ પરીક્ષાર્થીઓ અને સ્ટાફે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના ૩૦ મિનિટ પહેલા પ્રવેશ લેવાનો રહેશે. ત્યારબાદ કોઇપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં, જેનું યોગ્ય પાલન થાય એ માટે પરીક્ષાર્થી અને વાલીઓએ ખાસ નોંધ લેવા જણાવાયું છે.