(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.17: આછવણી પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણી માટે નાશિકના નવ જેટલા શિવભક્તોએહરિદ્વારથી પદયાત્રા શરૂ કરી 60 દિવસમાં 1400 કીમીની પદયાત્રા કરી આછવણી પ્રગટેશ્વર ધામમાં મહાશિવરાત્રીની ઉજવણી માટે પહોંચતા ધર્માંચાર્ય પરભુદાદા અને શિવ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાવડયાત્રીઓ સાથે લાવેલા ગંગાજળથી આજે પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરી ધન્યતા અનુભવશે.
ખેરગામ તાલુકાના આછવણીના પ્રગટ પ્રગટેશ્વરધામમાં મહાશિવરાત્રીની ઉજવણી માટે ધર્માચાર્ય પરભુદાદા તથા રમાબાના આશીર્વાદથી વિશ્વભરમાં પ્રસિદ્ધ હરકી પૌરી-હરિદ્વાર પવિત્ર ગંગા કિનારેથી ગંગાજળયાત્રા 17 ડિસેમ્બર 2022ના રોજથી પ્રસ્થાન કરી હતી. જેઓ 60 દિવસમાં આશરે 1400 કિમીની પદયાત્રા કરીને આછવણી પધારતા તેમજ નાશિકથી 200 જેટલા કવાદયાત્રીઓની પદયાત્રા આછવણીમાં સંપન્ન થતા પરભુદાદા તેમજ રમાબા અને સેવા સમિતિના સભ્યો ગુજરાત મહારાષ્ટ્ર પરિવારે તેઓનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. જે તમામ પદયાત્રીઓ આજે મહાશિવરાત્રીના પર્વએ ગંગાજળથી અને બીલીપત્રથી પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરશે. આછવણી સહિત નાંધઈના ગુપ્તેશ્વર મંદિર, ગંગેશ્વર તથા અખિલેશ્વર મહાદેવ મંદિર સહિત તાલુકાના તમામ શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવશે.