(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.25
ચીખલી તાલુકાની નવીઅમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્તે કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ જવા પામી હતી. પંચાયત ઘર માટે જમીન દાનમાં આપનાર પરભુભાઈ પવારનું મંત્રીના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
વિસ્તાર અને વસ્તીની દૃષ્ટિએ મોટી ગણાતી રુમલા ગ્રામ પંચાયતનું કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની સુચના બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે વિભાજન કરી નવી આંબાપાડા ગ્રામ પંચાયતની જાહેરાત કરાઇ હતી. આ નવી અમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના મકાન માટેનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી બાલુભાઈ પાડવી, ભાજપના મહામંત્રી દિનેશભાઈ મહાકાળ, સરપંચ શ્રી મણીભાઈ દેશમુખ, પૂર્વ સરપંચ શ્રી સોમભાઈ, શ્રી ડાહ્યાભાઈ, તલાટી શ્રી કાંતિભાઈ,આંબાપાડા શ્રી નવનીતભાઈ ચૌધરી, શ્રી કૌશિકભાઈ, શ્રી લાલજીભાઈ સહિતનાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના અસ્તિત્વ સાથે 16 લાખ રૂપિયાના ખર્ચે પંચાયત ભવનના મકાનના કામનો પણ પ્રારંભ થઈ જતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ જવા સાથે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકોનીસુવિધા માટે અદ્યતન ગ્રામ પંચાયત ભવનનું મકાન જરૂરી છે અને લોકોને સરળતા રહે તે માટે સમયની માંગ સાથે આંબાપાડા ગામ પંચાયતને અમલમાં મુકવામાં આવી છે અને સાથે ટૂંકાગાળામાં જ આજે મકાનનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે તેમણે પંચાયત કચેરીના મકાન માટે જમીન દાનમાં આપનાર શ્રી પરભુભાઈ પવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી પેઢી દર પેઢી તેમની આ ઉડા તને યાદ કરશે તેમ ઉમેર્યું હતું.