(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25
દાદરા નગર હવેલીના દાદરા ગામે નવનિર્મિત કંપનીનો ગેટ અચાનક તૂટી પડતા વોચમેનનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા ગામે ફેક્ટરી બિલ્ડીંગનું કામ પૂર્ણતાને આરે હતુ અને લોખંડનો ગેટ લગાવવાની કામગીરી ચાલી રહી હતી. જે ગેટને એક દોરી વડે જ બાંધવામા આવ્યો હતો. આ ગેટ અચાનક નીચે ઢળી પડયો હતો એ સીધો ફરજ પર ઉભેલ વોચમેન રામપ્રસાદ તિવારી (ઉ.વ.54) હાલ રહેવાસી દાદરા જેના પર પડયો હતો, જેના કારણે એને ગંભીર ઈજા થઈ હતી.
આ ઘટના જોતા કંપનીમા કામ કરતા કામદારો દોડી આવ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામા આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોકટરે એને મળત જાહેરકર્યો હતો. આ ઘટનાની જાણ થતા ઉત્તર ભારતીય સમાજના અગ્રણી પી.સી.મિશ્રા હોસ્પિટલ પર પહોંચી ગયા હતા. જેઓએ જણાવ્યું હતું કે, મરનાર વોચમેન રામપ્રસાદ મુળ બિહારનો છે અને એમની બે દીકરી અને એક દીકરો છે. પીડીત પરિવારે પોતાનો કમાઉ સભ્ય ગુમાવ્યો છે જેથી એમના પરિવારને કંપની દ્વારા યોગ્ય વળતર મળવું જોઈએ.
રામપ્રસાદ મુંબઈની સિકયુરીટી એજન્સીમાં સિકયુરીટી ગાર્ડ હતો. જેની ડયુટી દાદરાની કંપનીમાં હતી. જ્યાં લોખંડનો ગેટ પડતા એનું કરુણ મોત નીપજ્યુ હતુ.