મંગળવારે મનિષાબેન પટેલ સાંજ સુધી ઘરે પાછા નહિ ફરતા પરિવારજનો શોધખોળ કરતા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18
વાપી પાસે આવેલ ટૂકવાડા ગામે ઘરેથી ખેતરે કામ કરવા નિકળેલ પરણિતાની કુવામાંથી લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ટુકવાડા ગામે રહેતા દિલીપભાઈ ઉત્તમભાઈ પટેલની પત્ની મનિષાબેન ગતરોજ ઘરેથી ખેતરે કામ કરવા માટે ઘરેથી નિકળ્યા હતા. પરંત સાંજ સુધી મનિષાબેન ઘરે પરત ફર્યા નહોતા. તેથી પરિવારજનોએ ચારે તરફ શોધખોળ આરંભી દીધી હતી. આજે બુધવારે બપોરે દિલીપભાઈનો ભત્રીજો સરોઘી ગામ તરફ જતા રસ્તેથી પસાર થયો હતો. ત્યારે કિશોરભાઈ પટેલની વાડીનો ઝાંપો ખુલ્લો જોયેલો તેથી ભત્રીજાની વાડીમાં ગયો અને જોયું તો કુવા પાસે ચંપલ પડેલા નજરે પડયા હતા. તુરંત જ કાકા દિલીપભાઈને જાણ કરી તો કુટુંબીઓ અને પડોશીઓ વાડીમાં દોડીઆવ્યા હતા અને જોયું તો મનિષાબેન કુવામાં ડુબેલી હાલતમાં દેખાઈ હતી.
ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કુવામાંથી બહાર કઢાયેલ લાશને ઓરવાડ પ્રા.આરોગ્ય કેન્દ્રમાં પી.એમ.માટે મોકલી આપી હતી તેમજ એફએસએલની ટીમ પણ તમાસ માટે બોલાવી હતી. મનિષાબેનનું મોત શંકાસ્પદ છે કે કેમ? તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.