રામચરિત્ર માનસ પરિવારના કેવલ રામદાસ મહારાજ દ્વારા આયોજન : 70 ટકા ઉપરાંત લાવનાર વિદ્યાર્થીઓને ચાર ધામની યાત્રા કરાવાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: અયોધ્યામાં પ્રભુ શ્રી રામના મંદિરના યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં પ્રભુ રામ માટે આસ્થાની લહેર વ્યાપી રહી છે. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓરોજ અયોધ્યા રામ લલ્લાના દર્શન માટે ઉમટી રહ્યા છે. હવે દેશના બાળકો, યુવાનોમાં રામ ભગવાન અને રામાયણથી ચિત પરિચિત કરવા માટે નવતર પ્રયાસ હાથ ધરાયો છે તે અનુસાર વલસાડમાં દેશભરમાં પ્રથમવાર રામાયણ બાલકાંડની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 8 હજાર ઉપરાંત વિવિધ સ્કૂલના બાળકોએ રામાયણની પરીક્ષા આપી હતી.
રામ ચરિત્ર માનસ પરિવારના કેવલ રામદાસ મહારાજ ઉજ્જેન દ્વારા વલસાડમાં રામાયણ પરીક્ષાનું પ્રશંસનિય આયોજન કર્યું હતું. આ પરીક્ષા જિલ્લાની વિવિધ સ્કૂલના 8 હજાર જેટલા બાળકોએ આપી હતી. વિશેષ બાબત એ હતી કે પરીક્ષામાં 70 ટકાથી વધુ માર્કસ લાવનાર બાળકોને ચારધામ યાત્રા કરાવાશે. બાળકોએ પણ હોંસે હોંસે પરીક્ષા આપી હતી. પ્રથમ પ્રયાસમાં બાલકાંડ ઉપર પ્રશ્નો અને પેપર હતું, બીજા પ્રયાસમાં રામાયણ ઉપર પરીક્ષા લેવામાં આવશે. બીજી મહત્ત્વની બાબત એ રહી કે ભારતભરમાં રામાયણ ઉપર પરીક્ષાનો સર્વ પ્રથમ પ્રયાસ વલસાડથી થયો છે તે પણ ગૌરવ સમાન બાબત લેખાવી શકાય.