(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: દાદરા નગર હવેલીના સામરવરણી અને મસાટ પંચાયતના સાર્વજનિક સભાખંડમાં ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના મિનિસ્ટર ઓફ ડેવલપમેન્ટ, પંચાયતી રાજના નિર્દેશ મુજબ તથા પંચાયતી રાજ અને રૂરલ ડેવલપમેન્ટ સેક્રેટરી દા.ન.હ. અને દમણ-દીવ તથા જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારીના આદેશ મુજબ વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત દાનહ જિલ્લા પંચાયત મુખ્ય અધિકારી ડો. અપૂર્વ શર્માના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ ગ્રામસભામાં સરકારની વિવિધ યોજનાઓની જાણકારી ગામના સૌથી જરૂરિયાતમંદ લોકો સુધી સફળતાથી પહોંચાડી અને તેઓને આ યોજનાનો લાભ સરળતાથી મળી રહે એ રીતે લાગુ કરી ગામ સમૃદ્ધ અને તંદુરસ્ત બને તે બાબતે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ ગ્રામસભામાં ઉપસ્થિત કેટલાક ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાઓ જેવી કે જર્જરિત રસ્તાઓ, પીવાના પાણીની સુવિધાઓ સંપૂર્ણ રીતે મળી નથી તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ પ્રશ્નો બાબતે જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારીએ ઉપસ્થિત વિભાગના અધિકારીઓને ગામના જે કોઈ પ્રશ્નોછે તેનો તાત્કાલિક નિકાલ કરવા તાકીદ કરી હતી.
આ અવસરે સામરવરણી પંચાયતના સરપંચ શ્રીમતી કૃતિકાબેન અજયભાઈ બારાત, મસાટ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, વિવિધ વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.