સમાજમાં પોલીસની છબીને સુધારવાની કવાયતઃ તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસોને કર્મયોગી તાલીમથી સજ્જ કરવામાં આવી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20
આજે દાદરા નગર હવેલી ખાતે ભારત સરકારના ગૃહ મંત્રાલય અને કેપેસિટી બિલ્ડીંગ કમિશન (સીબીસી) તથા નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદના દિશા-નિર્દેશ હેઠળ કર્મયોગી પોલીસકર્મીના બે દિવસીય તાલીમ શિબિરનો પ્રારંભ નિવૃત્ત આઈ.એ.એસ. શ્રી પ્રવિણસિંહ પરદેશીએ કરાવ્યો હતો. આ પ્રસંગે સંઘપ્રદેશના ડીઆઈડીજી ડો. વિક્રમજીત સિંહ અને ડીઆઈજીપી શ્રી મિલિંદ દુંબેરે, એસ.પી. શ્રી આર.પી.મીણા, એસ.પી.શ્રી હરેશ્વર સ્વામી, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત આઈ.એ.એસ. શ્રી પ્રવિણસિંહ પરદેશી કેપેસિટી બિલ્ડીંગ કમિશનના પ્રશાસનિક સભ્ય હોવાથી ગૃહ મંત્રાલયના પ્રતિનિધિ તરીકે તેઓ પોલીસ કર્મયોગી તાલીમ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા નિવૃત્ત આઈ.એ.એસ. અને સીબીસીના પ્રશાસનિક સભ્ય શ્રી પ્રવિણસિંહ પરદેશીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ સમાજમાં પોલીસનીસમગ્ર છબીને સુધારવા અને કર્મયોગી પોલીસ વ્યક્તિ સમાજ માટે નિઃસ્વાર્થ ભાવથી કામ કરવાવાળો અને એક આત્મસંતોષી સુખી વ્યક્તિ હોવાની ભાવના પેદા કરવા માટે છે. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દરેક સંઘપ્રદેશ પોલીસ માટે ચલાવવામાં આવી રહ્યો છે જેના કારણે આવતા દિવસોમાં આપણે એક વિશ્વસનીય પોલીસ બળની સ્થાપના કરી શકીશું.
આ પ્રસંગે ડીઆઈજીપી શ્રી ડો. વિક્રમજીત સિંહે જણાવ્યું હતું કે, તાલીમાર્થી પોલીસકર્મીઓને નેશનલ પોલીસ એકેડેમીથી પ્રશિક્ષિત કરાયા છે અને તેઓએ આ તાલીમ પોતાના દરેક સ્ટાફ સભ્યને પણ આપવાની છે. જનતાની નજરમાં પોલીસની છબીને સુધારવાની જરૂરત છે અને આ કાર્યક્રમ તેમાં મદદરૂપ સાબિત થશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.
આ તાલીમ કાર્યક્રમમાં લોકોમાં પોલીસની છાપ વિશે વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેમાં જણાવાયું હતું કે, એક બાજુ આમ નાગરિકોને લાગે છે કે, પોલીસ અને પોલીસ બળ જ તેમના જાનમાલની રક્ષા કરે છે અને ન્યાય સુનિヘતિ કરી કાયદો અને વ્યવસ્થા બનાવી રાખે છે. બીજી બાજુ નાગરિકો એવી સ્થિતિઓની બાબતમાં પણ સાંભળે છે કે જ્યાં પદનો દુરૂપયોગ થાય છે, પોલીસો ઉત્તરદાયી નથી રહેતા અથવા આમ નાગરિકોની પરવાહ નથી કરતા.
કર્મયોગી પોલીસકર્મી સેવા શક્તિનું એક જીવંત પ્રતિક છે. જેટલાવધુ આપણે કર્મયોગી પોલીસ બનાવીએ છીએ તેટલી આપણી શક્તિ પણ અધિક પ્રગટ થાય છે. આપણે સમાજમાં એટલો જ હકારાત્મક પ્રભાવ પણ ઉભો કરી શકીએ છીએ અને લોકો વચ્ચે પણ પોલીસ ફોર્સની એક હકારાત્મક છબી બની શકે છે.
આ તાલીમ ભૂતકાળમાં નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદમાં યોજાઈ હતી. જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવથી ચાર(4) અધિકારીઓ તાલીમ માટે ગયા હતા અને તેઓ હવે સંઘપ્રદેશના દરેક પોલીસકર્મીઓને તાલીમ આપી રહ્યા છે.