- દાનહમાં વારંવાર જતી લાઈટ, હેલ્પ લાઈન નંબર લગાવ્યા બાદ મંગાતા કસ્ટમર આઈડીની પળોજણથી લોકો ત્રાહિમામ
- દાનહના આદિવાસીઓ માટે ટોરેન્ટ પાવર ફરી અંધકારયુગને લઈ આવ્યો હોવાની થઈ રહેલી પ્રતિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27
સેલવાસ વોર્ડ નંબર ત્રણના પાલિકા સભ્ય દ્વારા જ્યારથી દાદરા નગર હવેલી ઇલેક્ટ્રીક ખાતું પ્રાઇવેટ કંપની ટોરેન્ટોને આપવામા આવેલ ત્યારપછી લોકોને પડતી મુશ્કેલીઓ અંગે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. જેમા જણાવ્યા અનુસાર દાનહ ઇલેક્ટ્રીક વિભાગ પ્રાઇવેટ કંપનીને જ્યારથી આપવામા આવ્યું તે પછીથી જે લોકોને તકલીફ લાઈટ માટે પડી રહી છે,ઘરની લાઈટો ગમે ત્યારે બંધ થવાથી પહેલા જે તે વિસ્તારમા સબ સ્ટેશન ઉપર ફોન કરવાથી લાઈટ રીપેર કરવા માટે આવી જતા હતા. પરંતુ ટોરેન્ટો પાવરવાળાને આપ્યા બાદ તેઓને ફોન કરવાથી ત્યાંથી કહેવામા આવે છે કે ટોરેન્ટો પાવરવાળાના હેલ્પલાઇન વાળા મોબાઈલ નંબર પર ફોન કરો તે કહેશે તો અમે આવીશુ.
જે હેલ્પલાઇન નંબર લગાવવાથી એમા અલગ અલગ ઓપ્સન આવેછે જેમા કસ્ટમર આઈડી નંબર આપવાનો હોય છે તેમજ ફોન અમદાવાદમા લાગે છે જેની હજી સુધી આખા દાનહના લોકોને આની પુરેપુરી ખબર કે આ અંગેની જાણકારી નથી. જેના કારણે લોકોને લાઇટને લગતી કોઈપણ સમસ્યા થાય તો લાઈટ વગર અંધારામા રેહવુ પડે છે.જેથી આપને વિનંતી છે કે દાનહમાં મોટાપાયે આદિવાસી લોકો રહે છે જેમને આ સુવિધાની હજુ સુધી પુરેપુરી જાણકારી નથી. અમુક જગ્યાઓ ઉપર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મોબાઇલનું નેટવર્ક પણ આવતુ નથી તમામ લોકો હજુ સુધી યોગ્ય રીતે માહિતગાર થયા નથી અને ટેવાયેલા નથી જેથી થોડા સમય માટે બંને જગ્યાએથી એટલે કે ટોરેન્ટોવાળા અને દરેક પ્રદેશના સબ સ્ટેશનમાં ફરિયાદ લેવામા આવે કે જેથી લોકોને પડતી તકલીફોને સમયસર અને યોગ્ય રીતે દૂર કરી શકાય જેના પર વિચાર કરી તાત્કાલિક ઘટતુ કરવા વિનંતી છે.
હાલમાં ચોમાસુ આવી રહ્યુ હોય વારંવાર લાઈટ જાય છે જેની ફરિયાદ કયાં કરવાની એની પુરેપુરી માહિતી હજુ સુધી લોકોને નથી. જેના લીધે લાઈટ વગર વધારે તકલીફમા મુકાવા પડે એમ હોય પાલિકા સભ્ય શ્રી સુમનભાઈ પટેલે આ વિષય પર તાત્કાલિક નિર્ણય લઇ ઘટતુ કરવા કલેક્ટરને વિનંતી કરી છે.