સંઘપ્રદેશના વિવિધ ક્ષેત્રના મોભીઓ અને આગેવાનોને પાંચ-સાડાપાંચ વર્ષ પહેલાં પ્રદેશ કેવો હોવો જોઈએ તેની બતાવેલી રૂપરેખાથી વિશેષથયેલી પ્રગતિ
જો તમારી પાસે યોગ્ય સત્તા સાથે દીર્ઘદૃષ્ટિ હોય અને વસ્તુસ્થિતિને સમજવાની પરખ હોય તો કેવા સુંદર ઐતિહાસિક અને લોક કલ્યાણના પરિણામ મળી શકે તેનું એક અનુકરણીય દૃષ્ટાંત તાજેતરમાં દિવાળીના તહેવાર ટાણે દમણમાં જોવા મળ્યું હતું. મોટી દમણના લાઈટ હાઉસથી લઈ જમ્પોર બીચ સુધી ગાડી પાર્કિંગ કરવાની જગ્યા જ નહીં હતી. નાની દમણની સ્થિતિ પણ એવી જ હતી. પ્રવાસીઓનો લોક મેળો જામ્યો હતો.
છેલ્લા પાંચ-છ વર્ષ કરતા આ વખતે પરિવાર સાથે આવેલા પ્રવાસીઓની સંખ્યા ઘણી વધુ હતી. દુનિયાના ઘણાં દેશો અને ભારતના પણ કેટલાક રાજ્યોનું અર્થતંત્ર સંપૂર્ણપણે પ્રવાસન ઉદ્યોગ ઉપર નભે છે. દમણમાં દિન-પ્રતિદિન વધી રહેલી પ્રવાસીઓની સંખ્યા પણ એ બતાવે છે કે, દમણ હવે વૈશ્વિક સ્તરે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લગભગ 2017ના વર્ષમાં સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે પ્રદેશના વિવિધ મોભીઓ, વિવિધ સમાજના આગેવાનો, ડોક્ટરો, એન્જિનિયરો, ટેક્નોક્રેટ, ઉદ્યોગપતિઓ તથા વેપારી અને રાજકારણીઓ સાથે બેઠકના કરેલા આયોજનમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવને તેઓ કેવું બનાવવા ઈચ્છે છે તેનું દૃશ્ય-શ્રાવ્ય ચિત્રણ બતાવ્યું હતું. તે વખતે મોટાભાગનાલોકો એવું માનતા હતા કે, ભૂતકાળના મોટાભાગના પ્રશાસકો-શાસકો દ્વારા બતાવવામાં આવેલા દિવસના સપનાથી વિશેષ કંઈ નથી. લગભગ બહુમતિ લોકો એને માનવા માટે તૈયાર જ નહીં હતા.
આપણે શરૂઆતમાં કહ્યું તેમ જો તમારી પાસે યોગ્ય સત્તા સાથે દીર્ઘદૃષ્ટિ હોય અને વસ્તુસ્થિતિને સમજવાની પરખ હોય અને તેમાં કાર્યનિષ્ઠા ભળેલી હોય તો ધારેલા પરિણામ મળી શકે તે બાબત સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે સાબિત કરી બતાવી છે.