ગુરુમા રમાબાના જન્મ દિવસની ઉજવણી કરાઇ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં સપ્તશૃંગી માતાના ગઢમાં પાંચમા નોરતે નવકુંડી નવચંડી યજ્ઞ કરાયો હતો. યોગાનુયોગ આ દિવસે જ રમાબાનો જન્મ દિવસ પણ આવતાં તેની પણ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિ પર્વ હોઈ નવ મહિલાઓતેમજ રમા બાના હસ્તે સન્માન કરી સાડી ભેટ આપવામાં આવી હતી. નવ બાલિકાઓનું પણ સન્માન કરી તેમને પણ ભેટ આપવામાં આવી હતી. યજ્ઞની પૂર્વ સંધ્યાએ સમગ્ર શિવ પરિવારે સપ્તશૃંગી માતાના દર્શન કર્યા હતા. નવચંડી યજ્ઞની સમગ્ર વિધિ ભૂદેવો અનિલભાઇ જોષી, કશ્યપભાઇ જાની, ભાસ્કરભાઇ દવે, ગુણવંતભાઇતેમજ જીતુભાઇએ કરાવી હતી.
યજ્ઞના દિવસે વહેલી સવારે શિવપરિવાર વતી ધર્માચાર્ય પરભુદાદાના પુત્રી સીતાબેન પટેલ અને જમાઇ મહેશભાઇ પટેલે સપ્તશૃંગી માતાજીની મંગળા આરતી ઉતારી હતી અને સમગ્ર શિવ પરિવારનું કલ્યાણ થાય તેવી મનોકામના વ્યક્ત કરી હતી. તેમની સાથે શિવ પરિવારના અપ્પુભાઇ પટેલ અને પ્રકૃતિબેન પટેલ તેમજ તુષાર ઉફાડે અને તેમના ધર્મપત્ની ઉપસ્થિત રહ્યા હતા. આરતી બાદ માતાના દ્વારમાં ૧૦૮ જેટલા દીવા પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અહીં ગુરુમા રમાબાના જન્મ દિન નિમિત્તે અભિષેક કરવામાં આવ્યો હતો.
પ્રગટેશ્વર સેવા સમિતિ મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે.ખાંદવે, શિવ પરિવારના યોગેશભાઈ ખાંદવે તેમજ રમા હોટલના હિતેશભાઇએ સપ્તશૃંગી માતાના ઇતિહાસનું વર્ણન કર્યું હતું. સપ્તશૃંગી માતાના મંદિરમાં દર્શન અને પૂજાવિધિ માટે સહયોગ આપનાર ભુદેવો પ્રશાંતભાઇ દિક્ષિત તેમજ ઇશ્વરભાઇનો આભાર વ્યક્ત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સપ્તશૃંગી સ્થિત રમા હોટલના સંચાલક હિતેશભાઈએ યજ્ઞના આયોજનમાં આપેલા સહયોગની સરાહના કરી હતી.
આ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ માતાજીની કૃપા હંમેશા સૌની ઉપર બની રહે, સૌ નિરોગી રહે તેવા આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, જ્યાં પણ ભગવાનની આરતી થતી હોય તેમાં અવશ્ય ભાગ લેવો જોઈએ કારણ કે આરતીના સમયે ભગવાન અચૂક હાજરી આપે છે. નવરાત્રિ પર્વમાં આપણે અહીં આવીને માં સપ્તશૃંગીના દર્શન કરી શક્યા છે, તે આપણું અહોભાગ્ય છે. જ્યાં જે પ્રકારની સભા હોય તે જ પ્રકારના લોકો ત્યાં જાય છે, આજે અહીં ધર્મસભા છે, જેમાં ધર્મને માનનારા લોકો આવ્યા છે. એકાંતમાં કરેલી સાધના હંમેશા સફળ થાય છે, એ જ પ્રકારની સાધના કરવા આપણે અહીં આવ્યા છીએ. સમય અને સ્થાન અનુસાર સાધના કરવી જોઈએ, જે અહીં થઈ રહી છે જેથી આજે અહીં આવનાર વ્યક્તિ પૂજામાં ભાગ ન લઈ શકે તો પણ તેને ફળ ચોક્કસ મળશે. અહીં સાક્ષાત માતા જગદંબાનો વાસ છે, આવા તીર્થ સ્થળોની યાત્રા કરવાથી આપણું સંકટ દૂર થાય છે. પાંડવોએ પણ પુણ્ય પ્રાપ્ત કરવા અનેક સ્થળોએ યાત્રા કરી હતી. સાત પ્રકારના શણગાર એટલે સપ્તશૃંગી માતા, સપ્તૠષિ અહીં આવી આરાધના કરી અને માતા પ્રગટ થયા હતા. આપણે સૌ માતાના દર્શન માટે આવ્યા છે, કંઈ માંગવા માટે નથી આવ્યા જેથી તે અતિપ્રસન્ન થાય છે તેની અસીમ કૃપા પ્રાપ્ત થાય છેઅને મનોકામના પૂર્ણ કરે છે. નવદુર્ગા માં શક્તિ છે અને રમા બા પણ તમારા માટે શક્તિ છે, જેનો જન્મ દિવસની ઉજવણી નવરાત્રિ પર્વમાં થઇ રહી છે. ભક્તિભાવ સાથેદાન-ધર્મ કરી પુણ્ય પ્રાપ્ત કરવાનો અવસર છે.
સપ્તશૃંગી નિવાસીની દેવી ટ્રસ્ટના ટ્રસ્ટી મનજોત પાટીલે તેમના કાર્યકાળ દરમિયાન થયેલા કામોની જાણકારી આપી હતી અને આ કાર્યક્રમમાં બોલાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ અવસરે પ્રગટેશ્વર સેવા સમિતિ મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે.ખાંદવે, ગુજરાત મંત્રી હેમંતભાઇ પટેલ, ખજાનચી અમીતભાઇ પટેલ, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, ગુજરાત શિવ પરિવારના અપ્પુભાઇ પટેલ, વિપુલભાઇ પાંચાલ, પ્રવિણભાઇ પટેલ, પ્રવિણભાઇ મિસ્ત્રી, કાંતિભાઇ દમણીયા, ભાવેશભાઇ પટેલ, મહારાષ્ટ્ર શિવ પરિવારના યોગેશભાઇ ખાંદવે, પાંડુરંગ માતેરે, રમેશ દિઘેસહિત ગુજરાત મહારાષ્ટ્ર શિવ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સપ્તશૃંગી માતાના આશીર્વાદ મેળવ્યા હતા.