-
દમણમાં પરંપરાગત સાગરખેડૂની જગ્યાએઆદિવાસીઓ દ્વારા ખેડાતો ઊંડો દરિયોઃ મોટાભાગની ટ્રોલર બોટના ટંડેલ(કેપ્ટન) તરીકે આદિવાસીઓ કાર્યરત
-
માછીમારીના વ્યવસાયમાં આદિવાસીઓને શોષણથી બચાવવા તેમને મળતા હિસ્સાની રકમ સીધી બેંકમાં જમા થાય તેવી વ્યવસ્થા કરવી ખુબ જરૂરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01
દમણ-દીવ સહિત સમગ્ર ગુજરાતમાં 1લી જૂનથી 31મી ઓગસ્ટ સુધી યાંત્રિક બોટો દ્વારા મચ્છીમારી ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કારણ કે, આ સમયગાળા દરમિયાન સમુદ્રમાં મચ્છી સહિત જળચર જીવોનો પ્રજનનકાળ રહેતો હોય છે. જેના કારણે યાંત્રિક બોટો દ્વારા કરાતી મચ્છીમારી ઉપર રોક લગાવવામાં આવે છે. જેમાં કિનારાની મચ્છીમારી ઉપર કોઈ નિયંત્રણ રહેતું નથી.
દમણમાં હવે સાગરખેડૂ તરીકે પરંપરાગત માછીમારો નહીં પરંતુ આદિવાસીઓ દરિયો ખેડી રહ્યા છે અને માછીમારીના વ્યવસાયમાં મોટાભાગે સાગરપુત્રોની જગ્યાએ ભૂમિપુત્રોએ સ્થાન હસ્તગત કર્યું છે. પરંતુ મોટી ટ્રોલર કે બોટના ટંડેલ(કેપ્ટન) તરીકે કામ કરવામાં આદિવાસીઓની બહુમતિ છે. આદિવાસીઓમાં પણ હળપતિ અને વારલી સમાજનું મચ્છીમારીમાં પ્રભુત્વ રહ્યું છે.
દમણ ખાતે માછીમારીનો વ્યવસાય સહકારી ધોરણે કાર્યરત થઈ રહ્યો છે. જેમાં મચ્છીના બરામદ થતા જથ્થાના પ્રમાણમાં બોટના કેપ્ટન,માલિક તથા કાર્યરત માછીમારોને ભાગ આપવામાં આવે છે. જેના કારણે પ્રદેશ અને પડોશના રાજ્યના આદિવાસી માછીમારોને મોટી આવક થતી હોય છે. પરંતુ મોટાભાગના આદિવાસી માછીમારો પોતાની થતી આવકનો મોટો હિસ્સો દારૂ-બિયર અને પાર્ટી પાછળ ખર્ચી નાંખતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. આદિવાસીઓની અભણતાનો લાભ લઈ કેટલાક ટ્રોલર બોટના માલિકો તેમને અપાતા ભાગમાં પણ છેતરપીંડી કરતા હોય છે અને અપાતા એડવાન્સ પૈસાનો પણ હિસાબ ચોખ્ખો નથી રખાતો. જેના કારણે ખરી મહેનત મજૂરી કરનારા આદિવાસીઓના નશીબે તેમની મહેનતનું ફળ મળતુ નથી.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા જો માછીમારી માટે જતી બોટના કેપ્ટન ખલાસી વગેરેનું પેમેન્ટ સીધું બેંકમાં તેમના પત્ની અથવા પરિવારના સંયુક્ત એકાઉન્ટમાં થાય એવી વ્યવસ્થા કરવામાં આવે તો આ અભણ આદિવાસીઓના થતા શોષણમાં થોડો અંકુશ આવી શકે.