- દીવ સહિત સંઘપ્રદેશના વિકાસથી ગદ્ગદિત થયેલા ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહઃ ગજબનાક પરિવર્તન મેં મારી આંખે જોયું છે
- સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ગતિશીલ કર્મઠ અને સક્ષમ નેતૃત્વ ઉપર ગૃહમંત્રીએ મારેલી મહોર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.12
શનિવારે દીવના પદ્મભૂષણ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જાહેર સભાને સંબોધતા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે પ્રારંભમાં જ દીવના વિકાસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, દીવનું ગજબનાક પરિવર્તન મારી આંખે જોયું છે અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલી વ્યવસ્થાથી બધા મુખ્યમંત્રીઓ વાહ વાહ કરતા ગયા હોવાનું જણાવી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ગતિશીલ અને સક્ષમ નેતૃત્વ ઉપર પણ મહોર મારી હતી.
દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઉપસ્થિત જનમેદનીને 2024ના વિજય સંકલ્પનો જયઘોષ કરાવતા જણાવ્યું હતું કે, વરસોથી સંઘપ્રદેશમાં દિલ્હીથી આવતી યોજનાઓની નદી અધવચ્ચે જ સુકાઈ જતી હતી, પરંતુ પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલે વિકાસની નદીના ધોધને પહોંચાડવાનું કામ કર્યું છે.તેમણે 8મી જૂનના ‘ઓસન ડે’ની ઉજવણીની યાદ કરતા જણાવ્યું હતું કે, દીવને પ્રશાસને પહેલાંથી જ પ્લાસ્ટિક તથા ગંદકીમુક્ત બનાવી દીધેલું છે. તેમણે 100 ટકા રિન્યુએબલ એનર્જીથી ઝગમગતા દીવ જિલ્લાની પણ મુક્તમને પ્રશંસા કરી હતી.
ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, વિઝન વગર વિકાસ સંભવ નથી. દીવના વિકાસને જોઈને હું ખરેખર આヘર્યચકિત છું. તેમણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને તેમની તમામ પ્રશાસનિક ટીમની ખુલ્લા મંચથી પ્રશંસા કરી હતી.
દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, 2014માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અને 2019થી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેબિનેટના મંત્રી તરીકે તેમની દીર્ઘદૃષ્ટિને ખુબ જ નજીકથી જોવાનો લ્હાવો મળ્યો છે. તેમણે વિદેશનીતિની વાત હોય કે સંરક્ષણ નીતિ, દરેક ક્ષેત્રે માઁ ભારતીને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે.
દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સારા દિવસો આવી ગયા છે અને હજુ વધુ સારા દિવસો થવાના છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આઝાદીના અમૃત મહોત્સવ બાદ અગામી 25 વર્ષ એટલે કે,આઝાદીના 100 વર્ષ દરમિયાન ભારત કેવું હોવું જોઈએ તેની કલ્પનાને સાકાર કરી મૂર્તિમંત કરવાનું આયોજન કરી રહ્યા છે.
આ પ્રસંગે પાંચ કોરોના વોરિયર્સ, આઈઆઈએમ-કોઝિકોડમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થીની, 2022ના પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં સામેલ થયેલ દીવની વિદ્યાર્થીનીનું પણ ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશની ત્રણેય જિલ્લા પંચાયતના પ્રમુખો, સેલવાસ અને દમણ ન.પા.ના પ્રમુખો, દીવ જિલ્લા ભાજપ, પ્રદેશ ભાજપ, હોટલ એસોસિએશન સહિતના પ્રતિનિધિ મંડળે પણ ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનું અભિવાદન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત, ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, સાંસદ લાલુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.