-
દમણમાં વર્તમાન શૈક્ષણિક વર્ષથી શરૂ થનારી નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ ફેશન ટેક્નોલોજી કોલેજ
-
સંઘપ્રદેશમાં કાયદો અનેવ્યવસ્થામાં આવેલા પરિવર્તનથી ઉદ્યોગો સ્થાપવા લાગેલી હોડઃ હવે ઉદ્યોગપતિઓને દમણ અને દાનહમાં દેખાયેલું સલામતિનું વાતાવરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.12
શનિવારે દીવના પદ્મભૂષણ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આયોજીત જાહેર સભાને સંબોધતા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના સંઘપ્રદેશનો વહીવટ ભારત સરકાર અને ગૃહ વિભાગ હસ્તક રહેતો હોય છે. પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદ અને ગૃહમંત્રીશ્રીની પહેલના પરિણામે દાદરા નગર હવેલી અને દમણ-દીવને 177 બેઠકોની ક્ષમતા સાથેની મેડિકલ કોલેજ મળી શકી છે. તેમણે જણાવ્યું હતું કે, આ એક માત્ર દેશની મેડિકલ કોલેજ એવી છે કે જે સીધી ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલી છે. બીજી બધી મેડિકલ કોલેજો રાજ્યના આરોગ્ય વિભાગ સાથે જોડાયેલી હોય છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રે સંઘપ્રદેશના થયેલા વિકાસની ગાથા કહેતા જાહેરાત કરી હતી કે, આ શૈક્ષણિક વર્ષથી દમણ ખાતે નેશનલ ઈન્સ્ટ્ીટયૂટ ઓફ ફેશન ટેક્નોલોજીની કોલેજનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. જેનો ફાયદો આ વિસ્તારની બહેન-દીકરીઓને ખુબ જ મોટા પ્રમાણમાં થશે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાં રૂા.500 કરોડના ખર્ચે 21 જેટલી શ્રેષ્ઠ નવી શાળાનું નિર્માણ કરવામાં આવેલ હોવાનીપણ જાણકારી આપી હતી. તેમણે આરોગ્ય ક્ષેત્રે સેલવાસમાં કુલ 850 બેડની વ્યવસ્થા સાથેની હોસ્પિટલ, મરવડ ખાતે 300 બેડની વ્યવસ્થા તેમજ પ્રદેશમાં કરાયેલા વેલનેસ સેન્ટરને જોવા અને તેનો અભ્યાસ કરવા દિલ્હી સહિતના અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓ પણ આવી રહ્યા છે જે પ્રદેશ માટે ગૌરવરૂપ ઘટના ગણાવી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દાનહ અને દમણમાં લગભગ 7000 જેટલી ઈન્ડસ્ટ્રીઝો આવેલી છે જેમાં કાયદો અને વ્યવસ્થા સઘન બનતાં હજુ બીજા અનેક ઉદ્યોગો આવી રહ્યા હોવાની જાણકારી આપી હતી. પહેલાં ઉદ્યોગગૃહોને તેમની સલામતિ નહીં દેખાતા પલાયન થવાના કગાર ઉપર હતા. પરંતુ હવે તેમને દમણ અને દાદરા નગર હવેલીમાં પ્રશાસન દ્વારા સલામત વાતાવરણ મળી રહ્યું છે. જેના કારણે ઉદ્યોગો સ્થાપવા હોડ જામી છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રારંભમાં ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ખુબ જ નાની વયથી આરએસએસથી લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાજકીય ક્ષેત્રે કરેલા પરિશ્રમની યાદ તાજી કરાવી હતી.