સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 2017ના વર્ષથી પ્રદેશમાં શરૂ કરેલો નવતર પ્રયોગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.12
આવતી કાલે દાદરા નગર હવેલી અને દમણ-દીવની વિવિધ સરકારી શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ લઈ રહેલા બાળકોને વધાવવા માટે પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 2017ના વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો હતો. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી પ્રવેશોત્સવનું આયોજન શક્ય નહીં થયું હતું. પરંતુ આ વર્ષે પ્રદેશના આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ., દાનિક્સ જેવા વરિષ્ઠ અધિકારીઓને વિવિધ પ્રાથમિક શાળાઓમાં મોકલી પ્રવેશ લેતા નાના ભૂલકાંઓને વધાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સંઘપ્રદેશમાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટેપ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદના દિશા-નિર્દેશ હેઠળ શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલની દોરવણી હેઠળ પ્રદેશના તમામ સહાયક શિક્ષણ નિર્દેશક અને શિક્ષણ સાથે સંકળાયેલા અધિકારીઓ, હેડ માસ્તરો તથા શિક્ષકો સક્રિય રીતે પ્રયાસ કરી રહ્યા છે.