નરોલી સહિત સમગ્ર દાનહને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવા પ્રશાસનને યોગ્ય પહેલ કરવા પણ કરેલી અરજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14
દાનહ ભાજપના નરોલી મંડળના પ્રમુખ શ્રી યોગેશસિંહ સોલંકીએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને ખેડૂતોની સમસ્યાના ઉકેલ માટે યોગ્ય કાર્યવાહી કરવા અરજ કરી છે. તેમણે પ્રશાસકશ્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે ખેડૂતોને ખેતી માટે બિયારણ અને ખાતરની જોગવાઈ સમયમર્યાદામાં કરવા તંત્રને નિર્દેશ આપવા માંગ કરી છે.
શ્રી યોગેશસિંહ સોલંકીએ સબમિશન એગ્રીકલ્ચર મિકેનિઝમ યોજનાના પ્રસ્તાવ ઉપર મહોર મારી પાવર ટ્રેલર, મોટા ટ્રેક્ટર, કલ્ટીવેટર, રોટરી, નાનાં ટ્રેક્ટર વગેરેની સુવિધા ખેડૂતોને સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરવા પણ માંગણી કરી છે. તેમણેખેડૂતોને આંબા કલમ, નેટ હાઉસ, પોલી હાઉસ વગેરે બનાવવા જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવા પણ માંગણી કરી છે.
નરોલી મંડળ ભાજપ પ્રમુખ શ્રી યોગેશસિંહ સોલંકીના જણાવ્યા પ્રમાણે નરોલી સહિત સમગ્ર દાદરા નગર હવેલીમાં પ્રાકૃત્તિક ખેતી માટે ખુબ સારી તકો છે. પ્રદેશના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે તો સમગ્ર દાદરા નગર હવેલી પ્રાકૃત્તિક ખેતી તરફ વળી શકે તેવી લાગણી દર્શાવવાની સાથે તેમણે પ્રશાસકશ્રીને સ્વયં આ મુદ્દે રસ લેવા આગ્રહભરી વિનંતી પણ કરી છે.