-
બાળમજૂરી અભિશાપ અને દેશની પ્રગતિ માટે બાધકઃ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સિનિયર ડિવિઝન પવન એચ. બનસોડ
-
પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝ હંમેશા બાળમજૂરીના વિરોધમાં ઉભી રહી છેઃ આર.કે.કુંદનાની
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.14
સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી દમણ અને દમણ એડવોકેટ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ બાલ શ્રમ નિષેધ દિવસના ઉપલક્ષમાં નાની દમણના કડૈયા ખાતે આવેલ પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝમાં કાનૂની જાણકારી પ્રદાન કરવા માટેકાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાનૂની શિબિરમાં ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સિનિયર ડિવિઝન શ્રી પવન એચ. બનસોડેએ જણાવ્યું હતું કે, 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસેથી ગંભીર કામ કરાવવું દંડનીય અપરાધ છે. જો કોઈ 14 વર્ષથી ઓછી ઉંમરનું બાળક બાળ મજૂરી કરતા જોવા મળશે તો તે કંપની, પેઢી અથવા દુકાનના માલિકને દંડિત કરાશે.
ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સિનિયર ડિવિઝન શ્રી પવન એચ. બનસોડેએ વધુમાં જણાવ્યું હતું કે, બાળ મજૂરી અભિશાપ છે અને દેશની પ્રગતિ માટે બાધક છે. બાળક દેશનું ભવિષ્ય છે. આપણા સૌનું દાયિત્વ છે કે તેમને બહેતર આજ આપીએ જેથી સોનેરી આવતીકાલનું નિર્માણ થઈ શકે. તેમણે જણાવ્યું હતું કે, બાળ મજૂરીની રોકથામ માટે 1986માં અધિનિયમ બનાવાયો છે. જેમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે ગંભીર કામ કરાવવું દંડનીય છે.
કાનૂની શિબિર દરમિયાન પોલીકેબ ઈન્ડિયા લિમીટેડના પ્રેસિડેન્ટ શ્રી રમેશ કુંદનાનીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં સમાજના વંચિત લોકોને સમાજની મુખ્ય ધારામાં જોડવાનું કામ કરવામાં આવે. તેમણે બાળમજૂરીને કોઈપણ કાળે પ્રોત્સાહન નહીં આપવા પોતાના ઉદ્યોગમિત્રોને પણ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝ હંમેશાબાળમજૂરીના વિરોધમાં ઉભી રહી છે.
આ પ્રસંગે ધારાશાષાી સુશ્રી અલ્પા રાઠોડે બાળમજૂરીના વિરોધ માટે બનાવેલ વિવિધ નીતિ-નિયમોની જાણકારી આપી હતી અને દર વર્ષે 12 જૂનના રોજ બાળ શ્રમ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે મજૂરી નહીં કરાવી તેમને શિક્ષણ આપી આગળ વધવા માટે જાગૃત અને પ્રેરણા આપવાનો છે. જેથી બાળકો પોતાના સ્વપ્ન અને બાળપણને ગુમાવી નહીં નાંખે.
આ પ્રસંગે કોર્ટનો સ્ટાફ તથા પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝના વર્કરો, અધિકારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.