(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04
ચોમાસાની ઋતુમાં ધરમપુર વાઘવળ જેવા પ્રકૃતિના ખોળે વસતા વિસ્તારનું સૌંદર્ય ખૂબ ખીલી ઉઠતું હોય છે. વાઘવળમાં સુવિખ્યાત શંકર ધોધ આવેલો છે. તેથી ચોમાસામાં શંકર ધોધ નિહાળવા સેંકડો સહેલાણીઓ આવતા હોય છે. ગઈકાલે શંકર ધોધ જોવા આવેલ પ્રવાસીઓ સાથે વિચિત્ર ઘટના ઘટી હતી. 10 જેટલા પ્રવાસીઓ ઉપર મધમાખીઓએ હુમલો કર્યોહતો તેથી દોડધામ મચી ગઈ હતી.
ધરમપુર નજીક વાઘવળ ગામે પ્રકૃતિના ખોળે શંકર ધોર આવેલો છે. સહેલાણીઓ માટે શંકર ધોધ પ્રત્યેક ચોમાસામાં આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. ગઈકાલે શંકર ધોધ જોવા કેટલાક પ્રવાસીઓ ઉપર ચઢયા હતા. બાદમાં પ્રવાસીઓ નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક મધમાખીઓએ પ્રવાસીઓ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો. તેથી નાસભાગ મચી હતી. પ્રવાસીઓને ગળામાં માથા ઉપર કાનમાં મધમાખીઓએ ડંખ માર્યા હતા. મધમાખીઓના હુમલામાં 10 જેટલા પ્રવાસી ભોગ બન્યા હતા. તમામને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘાયલો પૈકી એક પ્રવાસીના કાનમાં માખી ઘૂસી ગઈ હતી. તેને સર્જને જહેમતથી બહાર કાઢી હતી.