શહેરમાં હજુ પણ અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયેલા છે : લોકોની ઘરવખરી સરસામાન પાણીમાં તાણી ચૂકી છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: છેલ્લા પાંચ દિવસથી વલસાડ જિલ્લામાં મેઘ તાંડવ સર્જાયેલું છે. સમગ્ર જિલ્લાની તમામ નદીઓ ઓવરફલો થઈ જતા પૂરની સ્થિતિ ઉભી થઈ છે. તેમાં જિલ્લાના અન્ય શહેરો કરતા વલસાડ શહેર પૂરની ભિષણ સ્થિતિમાં મુકાઈ ચૂક્યું છે. ઔરંગા નદીના પાણી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. તેથી હજારો લોકો પૂરમાં અસરગ્રસ્ત બની ચૂક્યા છે ત્યારે પ્રશાસન અને સામાજીક સંસ્થાઓએ ચો-ફેર રાહત કામગીરી માનવતાના ધોરણે ઉપાડી લીધી છે. આ કામગીરીમાં વલસાડ શહેર પોલીસ જવાનો પણ દેવદૂત બનીમોગરાવાડી જેવા પૂરગ્રસ્ત વિસ્તારમાં સેંકડો લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું.
વલસાડ જિલ્લામાં વર્તમાન અતિવૃષ્ટિની સૌથી કારમી કયામત આફત વલસાડ શહેર પર તૂટી પડી છે. શહેરનું જનજીવન છીન્ન ભિન્ન થઈ ચૂક્યું છે. શહેરના કાશ્મિરનગર, તરીયાવાડ, મોગરાવાડી જેવા વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાતા લોકોના જીવ પડીકે બંધાઈ ચૂક્યા હતા. અનેક ઘર-કુટુંબ પરિવાર પૂરની સ્થિતિ વચ્ચે ફસાઈ ચૂકેલા છે ત્યારે પોલીસ અને સામાજીક સંસ્થાના કાર્યકરો ફૂડ પેકેટ વિતરણ સહિત પૂરમાં ફસાયેલાઓનું સલામત સ્થળે સ્થળાંતર નિરંતર કરાવી રહ્યા છે. વલસાડ શહેરને વરસાદે કમ્મર તોડી દીધી છે. તબાહીનો મંજર શહેરના ખુણે ખુણે વેરાયેલો જોવા મળી રહ્યો છે.