(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૭: વલસાડના ધરમપુરમાં ભારે વરસાદને કારણી નદી નાળા છલકાઈ ગયા હતા ત્યારે ધરમપુરના બોપી ગામના શિરીષપાડામાં ખનકી પરના નાળા પરથી પાણીનું વહેણ વધારે હોવા છતાં તા.૧૧-૦૭-૨૦૨૨ના રોજ બપોરે ૨-૧૫ વાગ્યાના સુમારે ચાર લોકો ઈકોકાર લઈને પસાર થયા હતા. તે દરમિયાન નાળા પર વચ્ચે કાર બંધ પડી ગઈ હતી અને લોક થઈ જતા ચારેય જણા કારમાં ફસાઈ ગયા હતા. એક વ્યક્તિ દરવાજાનો કાચ અડધો ખુલ્લો હોવાથી મથામણ કરી બહાર આવ્યો હતો પરંતુ બીજા ત્રણ વ્યક્તિ કારમાં જ રહી ગયા હતા. કારમાં ઝડપથી પાણી ભરાતા પાણીના વહેણ કારા અને ત્રણેય વ્યક્તિ ખનકીમાં તણાઈ ગયા હતા જે આજ દિન સુધી મળી આવ્યા નથી. ગુમ થયેલા વ્યક્તિઓમાં (૧)ભાવેશ ઉર્ફે ધર્મેશ ગોવિંદભાઈ પટેલ, ઉંમર-૩૩, ડ્રાઈવર, બારસોલ બીડ ફળિયા, તાલુકા-ધરમપુર, જિલ્લા વલસાડના રહેવાસી છે. તેઓ મજબૂત બાંધાના, શ્યામવર્ણ અને મોઢા ઉપર દાઢી છે, તેમણે ટી-શર્ટ અને હાફ પેંટ પહેરેલા છે. (૨) જયંતિભાઈ ઇશ્વરભાઇ પટેલ, ઉંમર-૪૦, ધંધો-રીક્ષા ડ્રાઈવર, મોટી ઢોલડુંગરી, તાલુકા-ધરમપુર, જિલ્લા- વલસાડના રહેવાસી છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણ, ચપટો-લંબગોળ ચહેરો છે. તેમણે ટ-શર્ટ અને હાફ પેંટ પહેરેલા છે. (૩) મોહનભાઈ રવિયાભાઈ પટેલ, ઉંમર-૬૫, ધંધો-ખેતી, મરલા માવજી ફળિયા, તા-જી-વલસાડના રહેવાસી છે. તેઓ મધ્યમ બાંધો, રંગે શ્યામવર્ણ, માથાના વાળ સફેદ અને ચપટો લંબગોળ ચહેરો છે. તેમણે લાંબી બાંયનું શર્ટ અને પેન્ટ પહેરેલું છે. ત્રણેય વ્યક્તિઓ ગુજરાતી તથા હિંદી ભાષા જાણે તથા બોલે છે. આ ત્રણેય વ્યક્તિઓની કોઈને ભાળ મળે તો ધરમપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.